અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, જાણો શું છે શારદાબેન હોસ્પિટલમાં પરિસ્થિતિ
વર્ષ 2025માં આખા રાજ્યમાં પાણીજન્ય રોગના 13000 થી વધુ કેસ નોંધાયા હતા.

Published : January 7, 2026 at 3:50 PM IST
|Updated : January 7, 2026 at 3:56 PM IST
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલ્યુશનયુક્ત પાણીથી શહેરમાં રોગચાળો વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અશુદ્ધ પાણીના કારણે ગાંધીનગરમાં મોટી આફત આવી હતી. અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ ગંદા પાણીના કારણે બીમારીઓ વધી રહી છે ત્યારે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પરિસ્થિતિ શું છે અને રોજ કેટલા કેસ આવી રહ્યા છે? આવો જાણીએ…
શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે સરસપુર પટેલની ચાલીથી આવેલા મોહમ્મદ આલમએ જણાવ્યું હતું કે, હું મારા છોકરાને લઈને શારદાબેન હોસ્પિટલમાં આવેલું છું. તેને શરદી, ખાંસી, તાવ આવે છે અને છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં મારા છોકરાને દાખલ કરેલ છે. પાણી અને મચ્છરના કારણે તે બીમાર પડી ગયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
ચમનપુરાથી આવેલી એક દર્દીએ જણાવ્યું હતું કે, હું ચમનપુરામાં રહું છું ત્યાં બહુ જ ગંદુ પાણી આવે છે. જેનાથી છોકરાઓ બીમાર પડી રહ્યા છે. ત્યાં મચ્છરો વધારે આવે છે અને મારા છોકરાને ઝાડા ઉલટી થઇ ગયા છે. છેલ્લા ચાર દિવસથી તે શારદાબેન હોસ્પિટલમાં દાખલ હતો. ચમનપુરા અસારવામાં ઘણી જગ્યાએ દોષિત પાણી આવે છે. ઘણી વખત આના માટે ફરિયાદ કરવામાં આવે તો એ આ સમસ્યાનો નિરાકરણ કરવામાં આવી નથી.

અશોક મિલથી આવેલા દર્દી જીગ્નેશાબેને જણાવ્યું હતું કે, મારા વિસ્તાર અશોક મિલ ચાર માલિયામાં ગટરો બહુ જ ઉભરે છે અને અને ત્યાં મચ્છરજન્ય રોગો થાય છે. શરદી, ખાંસી, ઝાડા-ઉલટી થઈ રહ્યા છે.

દર્દી બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં હું રહું છું ત્યાં બહુ જ ગંદુ પાણી આવે છે અને ઓછા સમય માટે પાણી આવે છે. ફરીયાદો કરી કરીને થાકી ગયા છીએ પરંતુ કોઈ જોવા માટે આવતા નથી એટલે અમારે હોસ્પિટલનો ધક્કો ખાવો પડે છે.
સરસપુર વોર્ડના સામાજિક કાર્યકર અબ્દુલ કુદ્દૂસે જણાવ્યું હતું કે, તે સરસપુર વોર્ડની ચાલીઓમાં ઘણા સમયથી પોલ્યુશનયુક્ત પાણી આવે છે અને સવારે સાડા છ વાગ્યાથી સાત વાગ્યા સુધી અડધો કલાકના સમયમાં ગટર જેવું પાણી ઘરોમાં આવે છે. આના માટે કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવામાં આવે છતાંય પણ ફરિયાદની નિકાલ કરવામાં આવ્યો નથી, જેનાથી લોકો હેરાન પરેશાન છે. શારદાબેન હોસ્પિટલમાં પણ ઓપીડીની લાઇન લાગી રહી છે.

શારદાબેન હોસ્પિટલના મેડિકલ સોપ્રીટેન્ટમેન્ટ ડોક્ટર હેતલબેન વોરાએ જણાવ્યું હતું કે, અત્યારે હેલ્ધી સીઝન છે. રૂટિન પેશન્ટ કરતાં પણ ઓછા પેશન્ટ આ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન 500 કેસ આવતા હતા, અત્યારે ઓછા પેશન્ટ આવે છે. છેલ્લા 15 દિવસમાં ટાઈફોડના 10 કેસ આવ્યા છે અને કમળાના 11 કેસ નોંધાયા છે. મલેરિયાના 1 અને ડેન્ગ્યુના 6 કેસો નોધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદોને આધારે 26 વિસ્તારોને હાઇરિસ્ક ઝોન જાહેર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, બહેરામપુરા, દાની લીમડા, ગોમતીપુર, રખિયાલ દરિયાપુર અને જમાલપુર જેવા વિસ્તારોને હાઈરિસ્ક ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ જુદા જુદા વિભાગોના પાણીના સેમ્પલ લેવા અને લિકેજ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
વર્ષ 2025માં આખા રાજ્યમાં પાણીજન્ય રોગના 13000 થી વધુ કેસ નોંધાયા હતા. આ આંકડાથી કહી શકાય છે કે જો હવે કડક પગલાં નહીં લેવાય તો દુષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે મહામારી બની શકે છે.
તેમણે વધું જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં જ ટાઈફોડના 180, ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા હતા. 26 વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજની ગંભીર સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે પીવાના પાણીના પ્રદૂષણ ભળવાની શક્યતા વધી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અત્યાર સુધી છ હજાર જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 40,000 જેટલા ક્લોરીન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:

