અમરેલીના ગિરિયા નજીક કૂવામાંથી પિતા–પુત્રીની લાશ મળવાના કેસમાં નવો વળાંક, 7 સામે ગુનો નોંધાયો
ઘટનાને પગલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રથમ એડીની નોંધ કરવામાં આવી હતી.

Published : March 3, 2026 at 2:47 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના ગિરિયા નજીક આવેલા કૂવામાંથી પિતા અને તેમની નાની પુત્રી (બાળકી)ની લાશો મળી આવ્યાની ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. પ્રાથમિક તપાસ બાદ હવે આ કેસમાં મહત્વપૂર્ણ નવો વળાંક સામે આવ્યો છે.
ઘટનાને પગલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રથમ એડીની નોંધ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકના ઘરેથી સુસાઈટ નોટ મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. નોટના આધારે પોલીસે મૃતક દિપક રામાણીની પત્ની સહિત કુલ 7 વ્યક્તિઓ સામે આત્મહત્યા માટે પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક દિપક રામાણી અમરેલી ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કોઓપરેટીવમાં ફરજ બજાવતા હતા. મૃતકના ભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, દિપક રામાણીને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેઓ પોતાની પુત્રી સાથે જીવન ટૂંકાવવા મજબૂર બન્યા હતા.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે, આપઘાત સમયે મૃતકે પોતાનો મોબાઈલ ફોન કૂવામાં નાખી દીધો હતો. મોબાઈલમાં ઘટનાસંબંધિત મહત્વના પુરાવા હોવાની શકયતા હોવાથી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં મોબાઈલ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે, મોબાઈલમાંથી વધુ મહત્વના પુરાવા મળી શકે છે, જે તપાસને દિશા આપી શકે. જો કે, ભારે શોધખોળ છતાં હજુ સુધી મોબાઈલ મળી આવ્યો નથી.
હાલ અમરેલી તાલુકા પોલીસ દ્વારા નોટ, સાક્ષીઓના નિવેદન અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો:

