તાપીના ઉચ્છલની નવનિર્મિત કોર્ટના બિલ્ડિંગનું ઉદ્ઘાટન, 15 નવેમ્બરે ડેડિયાપાડામાં વિશાળ કાર્યક્રમ, PM ઉપસ્થિત રહેશે
આ પ્રસંગે જિલ્લા કોર્ટના ન્યાયાધીશો, વકીલાત જગતના પ્રતિનિધિઓ, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Published : November 9, 2025 at 4:59 PM IST
|Updated : November 9, 2025 at 6:38 PM IST
તાપી : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર હર્ષ સંઘવી તાપી જિલ્લાના પ્રવાસે આવતા સમગ્ર તાપી જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેમના હસ્તે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોર્ટના ન્યાયાધીશો, વકીલાત જગતના પ્રતિનિધિઓ, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધન કહ્યું કે, "આજ સુધી હું અનેક ધંધા ઉદ્યોગ કે સેવાઓના લોકાર્પણમાં પ્રાર્થના કરતો આવ્યો છું કે આ ધંધો વધુમાં વધુ ચાલે વિકાસ પામે પરંતુ, આજના કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ સમયે મારી પ્રાર્થના એવી નથી. હું ભગવાન પાસે આ પ્રાર્થના કરું છું કે કાનૂની વ્યવસ્થા એવી મજબૂત બને કે અહીં ઓછામાં ઓછા લોકો કોર્ટ સુધી આવે. જે કોઈ વ્યક્તિ કોર્ટ સુધી આવે તેને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે એને વર્ષો સુધી ધક્કા ન ખાવા પડે, એના ચપ્પલ ન ઘસાય.
તાપી જિલ્લાના નાગરિકો માટે આ કોર્ટ બિલ્ડિંગ એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇમારત તાપી જિલ્લામાં ન્યાય વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવશે. તે જ દિવસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હર્ષ સંઘવીના હસ્તે ઉચ્છલ ખાતે મુદ્દામાલ અર્પણ કાર્યક્રમ પણ યોજાયો.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત
તાપી પોલીસે તાજેતરમાં વ્યારા વિસ્તારમાં થયેલી એક દાગીના ચોરીની ઘટના ઉકેલીને મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી. ફરિયાદી પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા, ત્યારે ચોરીની આ ઘટના બની હતી. પરંતુ તાપી પોલીસના પ્રયાસોથી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો અને ચોરાયેલા દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
એક પિતાના સપનાં અને અરમાનોને અખંડ રાખતું આપણું ન્યાય તંત્ર !
— Harsh Sanghavi (@sanghaviharsh) November 9, 2025
⚖️ વ્યારામાં રહેતા રમેશભાઈ જોષી દિવાળી વેકેશનમાં વતન ગયા અને બંધ ઘરમાં પડેલા દીકરાના લગ્ન માટે સાચવેલા જીવનભરની પૂંજી સમા રૂ.૨૭ લાખના ઘરેણાં ચોરાઈ જાય છે. તાપી જિલ્લા પોલીસની પ્રતિબદ્ધતાથી ગણતરીના કલાકોમાં ગુનેગારોને… pic.twitter.com/qAdm49Hexf
સરકાર દ્વારા શરૂ કરાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ફરીથી વાસ્તવિક માલિકને અર્પણ કરવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓને અભિનંદન આપતા કહ્યું કે, "જનતા અને પોલીસ વચ્ચેનો વિશ્વાસ મજબૂત થાય એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. ગુનાખોરી સામે પોલીસની તત્પરતા એ નાગરિક સુરક્ષાનું વાસ્તવિક પ્રતિબિંબ છે."

બિરસા મુંડા જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં વિશાળ કાર્યક્રમ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "ભાજપ સરકાર હંમેશા આદિજાતિ સમાજ સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહી છે. બે-ત્રણ દાયકાઓ પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ સરકારે યાદ કર્યા નહોતા, પરંતુ ભાજપ સરકારે તેમની સ્મૃતિને સાર્થક બનાવી આજે સમગ્ર દેશમાં બિરસા મુંડા જયંતિ ઉજવાય છે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ પણ રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ATS દ્વારા પકડાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને લઈને તેમણે જણાવ્યું કે, હાલ ATS દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે, અને કામગીરી હજુ ચાલુ છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.:

તાપી જિલ્લાના નાગરિકો માટે આજનો દિવસ મહત્વનો રહ્યો, એક તરફ કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણથી ન્યાય વ્યવસ્થામાં નવી ઊર્જા સંચાર થઈ, તો બીજી તરફ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા પોલીસની માનવતાભરી કામગીરીનું પ્રતિબિંબ જોવા મળ્યું.
આ પણ વાંચો...

