વડતાલ ધામમાં ધામધૂમથી ઉજવાયો 210મો દિવ્ય રંગોત્સવ, રંગે રંગાયા હજારો હરિભક્તો
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુદા-જુદા 31 સ્થળોએ ઉજવાતા રંગોત્સવમાં થી વડતાલનો રંગોત્સવ સૌથી મોટો છે.

Published : March 4, 2026 at 1:33 PM IST
વડતાલ: ખેડા જિલ્લાના વડતાલ ધામ, જે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તરીકે જાણીતું છે, તેમાં ફાગણી પૂર્ણિમાના દિવસે 210મા દિવ્ય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વના આ રંગોત્સવમાં 50 હજારથી વધુ હરિભક્તોએ ભાગ લઈને રંગોની ધમાલમાં મગ્ન થયા હતા. આચાર્ય મહારાજ તથા સંતોના હાથેથી કેસુડાના રંગથી ભીંજવામાં આવ્યા, જેનાથી આ તમામ વાતાવરણ ભક્તિભાવ અને ઉમંગથી ભરાઈ ગયું હતું. યુવાનો સંગીતના તાલે મનમુકીને ઝૂમ્યા હતા.
આ રંગોત્સવ એટલો મોટો હતો કે તે ખેડા જિલ્લાની સૌથી મોટી ધૂળેટી ઉજવણી બની ગઈ હતી. વડતાલ જ્ઞાનબાગમાં યોજાયેલ આ કાર્યક્રમ સંપ્રદાયનો શિખર રંગોત્સવ તરીકે ઓળખાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુદા-જુદા 31 સ્થળોએ આવા રંગોત્સવો મનાવ્યા હતા, પરંતુ વડતાલનો આ ઉત્સવ તેમના માટે શિષ્ટાચારનું પ્રતીક બન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું.
વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે 50 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા સુશોભિત વિશાળ રંગમંડપમાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા.

ભાવિકોને બેસવા માટે ખુરસીઓ સહિતની વ્યવસ્થા કરી હતી. બુધેજ મંદિરના કોઠારી શાસ્ત્રી નારાયણચરણ દાસજી સ્વામી દ્વારા રંગોત્સવ સાથે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌત્તમપ્રકાશદાસજી સ્વામીએ વડતાલ જ્ઞાનબાગમાં 200 વર્ષ પહેલાં ભગવાન શ્રીહરિએ ઉજવેલા રંગોત્સવની ઝાંખી કરાવી હતી. ધૂળેટી રમવા માટે 2 મોટા હોજ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. 12 બારણાના હિંડોળે ઝૂલતા શ્રીજીએ ભક્તોના હાર-ગુલાલ સ્વીકાર્યા, જેની દ્રશ્યાવલીએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવાદ પાઠવ્યા અને શ્વેત વસ્ત્રો તથા પાઘ ધારણ કરી સ્ટેજ પર પધાર્યા હતા અને તેઓએ સંતો અને યજમાનો સાથે શ્રીજીનું પૂજન કર્યું અને આરતી ઉતારી હતી.

આચાર્ય મહારાજ અને સંતોએ પુષ્પપાંડળીથી હરિભક્તોનું વધામણ કરીને મંચ પરથી ચોકલેટની ઉછાળણી કરી હતી. પ્રસાદીના કેસુડાના રંગ છાંટણા કરીને ભક્તોને ભીંજવ્યા હતા. રાકેશપ્રસાદજી મહારાજ, સંતસ્વામી, નૌત્તમસ્વામી, ગોવિંદસ્વામી અને શ્યામસ્વામીએ વ્યક્તિગત ભાવથી હરિભક્તો પર રંગ છાંટીને તેમને ભીંજવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવાઓએ સંગીતના તાલ પર નાચીને ધૂળેટીની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, ઉડી અબીલ-ગુલાલની છોડો
બનાસકાંઠાનું એક ગામ જ્યાં 300 વર્ષથી હોળી પ્રગટાવાતી નથી, જાણો આ ગામની રોચક કહાની

