સુરેન્દ્રનગર: મુળી તાલુકામાં પાણી છોડવાની શરૂઆત, નાના-મોટા 200થી વધુ તળાવો ભરવામાં આવશે
ચોટીલા, મુળી, થાનગઢ સહિતના વિસ્તારોમાં નર્મદાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, એટલે ત્યાં સૌની યોજના અંતર્ગત પસાર થતી પાણીની પાઇપલાઇનના વાલ્વ મૂકવામાં આવ્યા છે.

Published : March 1, 2026 at 1:19 PM IST
સુરેન્દ્રનગર : શહેરના મુળી તાલુકામાં ઉનાળાની સિઝનમાં પીવાના સિંચાઈના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ગામોમાં આવેલા તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. જેમાં ખાસ કરીને ચોટીલા, મુળી, થાનગઢ સહિતના વિસ્તારોમાં નર્મદાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, એટલે ત્યાં સૌની યોજના અંતર્ગત પસાર થતી પાણીની પાઇપલાઇનના વાલ્વ મૂકવામાં આવ્યા છે.
મુળી તાલુકામાં અલગ અલગ નાના મોટા 200થી વધુ તળાવો છે. ઉનાળાના સમયમાં આ તળાવમાં પાણી નથી હોતું. જેને લઇને પશુઓને પીવાનું પાણી પીવડાવવું મુશ્કેલ બની જતું હોય છે, પરિણામે પશુઓ સાથે માલધારીઓને હિજરત કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં 7મી માર્ચથી તમામ નર્મદાની કેનાલ એક તરફ તંત્ર દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યાઓ પણ સર્જાવાની છે.
ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે સૌની યોજના હેઠળ નાખવામાં આવેલા વાલ ખોલીને તળાવો ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં મૂળી તાલુકાના તમામ ગામોના તળાવોમાં પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે. સૌની યોજના અંતર્ગત પસાર થતી લાઈનોના વાલ્વ ખોલીને તળાવ નજીક હોય ત્યાં પાણી છોડવા અને ભરાવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને હાલના તબક્કામાં પીવાના તથા સિંચાઈ માટે અને પશુઓને પીવાના પાણીના પ્રશ્નનો હલ આવશે સૌની યોજનાના વાલ્વ ખોલીને તળાવો ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

"સૌની યોજના અંતર્ગત સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી રાજકોટ જામનગર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પાઇપલાઇન મારફતે પાણીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ પાઇપલાઇન સુરેન્દ્રનગરના મુળી તાલુકા ઉપરથી પસાર થઈ રહી છે, ત્યારે ત્યાં સકાવર વાલ્વ મૂકવામાં આવે તેથી ઉનાળામાં પીવાનું પાણી અને પશુપાલકોને પણ પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે નિર્ણય કરી અને દુધઈ નજીક આવેલ, ખાટડી ગામ નજીક આવેલ, તરણેતર નજીક આવેલ અને રામપરડાની સીમમાં આવેલ વાલ્વ ખોલી નાખવામાં આવ્યા છે. એક સપ્તાહમાં 200થી વધુ તળાવ ભરાઈ જશે, જેને લઇને ઉનાળામાં મુળી તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવી જશે." - રામકું કરપડા, ખેડૂત દુધઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, ચોટીલા, થાનગઢ વિસ્તારમાં ઉનાળામાં લોકોને હિજરત કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું દર વખતે નિર્માણ થાય છે. પરંતુ, ચાલુ વર્ષે મુળી તાલુકાના પ્રથમ તબક્કામાં વાલ્વ ખોલી અને તળાવો ભરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

રામપરડા, ખાટડી દુધઈ, સરલા, ટીકર, સુજાનગઢ સહિતના ગામોમાં નર્મદાના નીરરાણીપાટ, સાગધ્રા, દાધોળીયા, સરા, કરશનગઢ, આંબરડી ગામોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ તળાવ ભરાઈ જશે, જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે.
આ પણ વાંચો...

