સિરામીક ઉદ્યોગકારોની આ માંગણી સરકારે કરી પૂર્ણ, 200થી વધુ ઉદ્યોગોને થશે મોટો ફાયદો
થાનગઢના સિરામિક ઉદ્યોગમાં અલગ અલગ પ્રકારની ટાઇલ્સો, કપ, રકાબી સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.

Published : January 3, 2026 at 4:18 PM IST
સુરેન્દ્રનગર : જિલ્લાનું થાનગઢ જેને સિરામિક ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. થાનગઢમાં સિરામિક ઉદ્યોગના નાના મોટા 200 થી વધુ એકમો આવેલા છે. જ્યાં અલગ અલગ પ્રકારની ટાઇલ્સો, કપ, રકાબી સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. વિદેશ સુધી આ માલ મોકલવામાં આવે છે, સેનેટરી વેરનું પણ ભાવ સુરેન્દ્રનગરનું થાનગઢ ગણવામાં આવે છે. વોલ ટાઇલ્સ વોશબેસિન બાથરૂમને લગતી વસ્તુઓ પોટલી અને ડેકોરેટિવ આઈટમ વગેરે થાનગઢમાં સીરામીક ઉદ્યોગમાં બનાવવામાં આવે છે.
આ સીરામીક ઉદ્યોગમાં બનતી વસ્તુઓમાં ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે, આ ભઠ્ઠી ગેસથી ચાલતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પંથકમાં નાના મોટા 200થી વધુ સિરામિક ઉદ્યોગના કારખાનાઓમાં પ્રતિ દિવસે 1 કરોડથી વધુનો ગેસ વપરાશ કરવામાં આવે છે. ગેસના ભાવો સતત વધતા જઈ રહ્યા હતા, ત્યારે સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી.
ત્યારબાદ અંતે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી અને પ્રતિ ક્યુબિક મીટરનો 4.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી રોજનો 2 લાખથી વધુનો ફાયદો સિરામિક ઉદ્યોગકારોને થવાનો છે ત્યારે સીરામીક ઉદ્યોગકારો દ્વારા સરકારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

"ગુજરાત ગેસ કંપનીએ જે ભાવ ઘટાડ્યા છે, એ આનંદની વાત છે, પણ જે આંતરાષ્ટ્રીય બજાર પ્રમાણે અને ખાનગી કંપનીના જે ભાવ છે, પ્રમાણે ખરેખર 10 રુપિયા ઘટવા જોઈએ. તો અમારી હજી એવી માંગણી છે કે હજી 4 થી 5 રુપિયા ઘટે તો ઉદ્યોગોકારો માટે સારુ રહેશે." - સુરેશ સોમપુરા, પ્રમુખ સીરામીક ઉધોગ થાન

"1 જાન્યુઆરી 2026થી ગુજરાત ગેસ કંપની લિમીટેડે આમારા ગેસ સપ્લાયમાં 4 રુપિયા અને 50 પૈસા જેટલો ઘટાડો કર્યો છે. એ સારી વાત છે, આનંદની વાત છે. આમારી અપેક્ષા 10 રુપિયા ધટે તેવી અમારી વિનંતી છે. અમારી આ માંગણી ચાલુ જ રહેશે કે હજી બીજા 5 રુપિયા ગેસમાં ઘટાડો કરે." - શાંતિભાઈ પટેલ ઉધોગકાર
વર્ષો પછી ગેસના ભાવમાં ઘટાડો થતાં સિરામિક ઉદ્યોગને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બાજુ સીરામીક ઉદ્યોગમાં હાલ મંદિની સીઝન ચાલી રહી છે, તેવા સંજોગોમાં સરકાર દ્વારા પણ હવે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઇને સીરામીક ઉદ્યોગ ટકી શકે તે પ્રકારના પ્રયાસો સરકારે હાથ ધર્યા છે.
આ પણ વાંચો...

