સુરેન્દ્રનગર: દુધરેજધામ વડવાળા દેવના સાનિધ્યમાં ધર્મસભાનું આયોજન, 250થી વધુ સંતોની ઉપસ્થિત
પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા

Published : March 2, 2026 at 5:43 PM IST
સુરેન્દ્રનગર : દુધરેજધામ ખાતે વડવાળા દેવનો આજે પ્રાગટ્ય દિવસ યોજવામાં આવ્યો હતો, સાથોસાથ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગતગુરુ શંકરાચાર્ય પણ ખાસ આ સભામાં ઉપસ્થિત રહી અને ધર્મનો પ્રચાર કરવા અને ગૌરક્ષા મુદ્દે અપીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કથાકાર પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલી આ ધર્મ સભામાં દુધરેજ વડવાળા મંદિરના લઘુ મહંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી હતી અને તેમની ચાંદલા વિધિ અને ધાર્મિક વિધિનું કાર્યક્રમ પણ સંતોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધર્મ સભા દરમિયાન રબારી માલધારી સમાજના જગતગુરુ તરીકે કનીરામદાસજી બાપુની સંતો મહંતોની ઉપસ્થિતિમાં વરણી કરવામાં આવી હતી.
દુધરેજધામ આજે ધાર્મિકમય બન્યું હતું. અલગ અલગ મંદિરોના સંતો, મહંતો ઉપસ્થિત રહી અને ધર્મનો પ્રચાર વધારવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજ શિક્ષિત બને અને સનાતન ધર્મ અંગેની વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જે કામગીરી કરવાની છે, તે અંગે આહવાન પણ આપવામાં આવ્યું હતું. લાખો લોકોની ઉપસ્થિતિમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

"આજે વડવાળા મંદિરના લઘુ મહંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી છે. બીજી તરફ સંતોની ઉપસ્થિતિમાં મંદિરના મુખ્ય મહંત કનીરામદાસજી બાપુને રબારી માલધારી સમાજના જગતગુરુ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે અને તેમની પણ વરણી કરવામાં આવી છે. જેને લઇને સમસ્ત માલધારી સમાજ અને રબારી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે સાંજે ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે.
જેમાં ગીતાબેન રબારી, કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ સહિતના લોક કલાકારો હાજર રહેવાના છે. હોલિકા દહનનો કાર્યક્રમ પણ યોજવાનો છે. વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે, તયારે 3 લાખ લોકોનો પ્રસાદનું આયોજન છે. સમગ્ર આયોજનમાં 2 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા છે. વધુમાં વધુ લોકો કાર્યક્રમમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે." - મુકુંદરામ બાપુ, કોઠારી સ્વામી વડવાળા મંદીર દુધરેજધામ
દુધરેજ વડવાળા મંદિર ખાતે 3 લાખથી વધુ ભક્તો માટે પ્રસાદનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શીતલ ગૌશાળાનું લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ મંગલમય વાતાવરણ વચ્ચે સંતો મહંતોની ઉપસ્થિતિમાં રાજકીય લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રબારી સમાજના યુવકને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનું સ્થાન મળ્યું છે, ત્યારે હાર્દિક ટમાલીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુ પણ ધર્મ સભામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમના દ્વારા પણ ઇઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે અને શાંતિનો સંદેશો આપવામાં આવ્યો છે. સત્ય સ્થાપિત થશે પ્રેમ વિસ્તરશે અને કરુણા રાખવા અપીલ કરવામાં આવી છે. મોરારીબાપુએ શાંતિ જાળવવાની અપીલ ધર્મ સભા પૂર્ણ થયા બાદ કરી હતી.
આ પણ વાંચો...

