સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ગૌ વંદના યાત્રાનું ભવ્ય આયોજન, 250થી વધુ સંતો-મહંતોની હાજરી
વડવાળા મંદિરની ગૌશાળામાં 650થી વધુ ગાયો રાખવામાં આવી રહી છે, પરંતુ તે પૈકી શીતલ ગાય બાપુને ખૂબ વાલી હતી.

Published : March 1, 2026 at 9:11 PM IST
સુરેન્દ્રનગર : દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડવાળા દેવના પ્રાગટ્ય મહોત્સવ ઉપરાંત 10 એકર જમીનમાં નુતન શીતલ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું પણ સંતો, મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
શીતલ નામની ગાય સાથે વડવાળા દેવના મહંત શ્રી કનીરામદાસજી બાપુનો અનોખો નાતો રહ્યો છે, બાપુ પોતે શીતલ ગાયને માતાનું બિરુદ આપ્યું અને કનીરામદાસજી બાપુને સૌથી પ્રિય ગાય શીતલ ગાય હતી. વડવાળા મંદિરની ગૌશાળામાં 650થી વધુ ગાયો રાખવામાં આવી રહી છે, પરંતુ તે પૈકી શીતલ ગાય બાપુને ખૂબ પ્રિય હતી.
2017માં આ શીતલ ગાય દેવલોક પામી ત્યારે કનીરામદાસજી બાપુ અને મંદિરના સંતો મહંતોમાં શોકનું મોજુ ફરી વળ્યું. આ શીતલ ગાય સાથે બાપુ સાથેનો નાતો ખૂબ નજીકનો હતો. બાપુ જ્યારે પ્રવાસમાં હોય ગૌશાળાની અંદર ખડ નાખે દાણા નાખે કે લીલો ઘાસચારો નાખે શીતલ ગાય ખાતી નહોતી, પરંતુ 2 થી 3 દિવસ બાદ બાપુ ગામડાઓના પ્રવાસેથી પરત આવે ત્યારબાદ શીતલના માથે હાથ ફેરવે આ શીતલ ભોજન લે બાપુ ન હોય ત્યારે આ શીતલ ગાય તેમના વિરહમાં રડે અને બાપુની રાહ જોવે બાપુ પણ પોતે સંતો મહંતો અને સેવકોને એવું કહેતા કે આ શીતલ મારી આગલી જન્મની જનેતા છે.

બાપુ શીતલ ગાયની સેવા પણ તે જ રીતે કરતા, પરંતુ 2017ના વર્ષમાં શીતલ ગાયનું અવસાન થયું, ત્યારબાદ બાપુ અને સંતો મહંતો શોકમાં મુકાઈ ગયા અને શીતલ ગાયની ભવ્ય સમાધિ આજની તારીખે પણ ઉપસ્થિત છે.

"દુધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ કાર્યક્રમમાં ગૌવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કોઠારીયા થી ગૌવંદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, કાલે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક દિવસ 3 લાખથી વધુ લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 250થી વધુ સંતો કે જે હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યમાંથી પધારી ચૂક્યા છે, તેમનું પણ સન્માન કરવામાં આવશે.
આ ઉપરાંત રાત્રી દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેવાના છે, ત્યારબાદ વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે અને ધુળેટીનો પર્વ પણ ધામધૂમપૂર્વક દુધરેજ ધામમાં ઉજવવામાં આવશે. સમગ્ર દુધરેજમાં રબારી અને માલધારી સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે, ત્યારે વિશેષ બસો પણ દોડાવવામાં આવી રહી છે. ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે." - મુકુંદરામ બાપુ કોઠારી સ્વામી વડવાળા મંદિર દુધરેજ ધામ
આ શીતલ ગાયના નામે વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ દ્વારા 10 એકર જમીન ઉપર ગૌશાળા બંધાવવામાં આવી છે. 650થી વધુ ગાયોને આ ગૌશાળામાં રાખવામાં આવશે, ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે 250થી વધુ સંતો મહંતો સુરેન્દ્રનગરમાં પધારી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત કોઠારીયા થી વડવાળા મંદિર સુધી ગૌવંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ માર્ગો ઉપર આ યાત્રા ફરી છે, જેમાં શીતલ ગાયની આબેહૂબ મૂર્તિ બનાવવામાં આવી છે અને દર્શન માટે શહેરી વિસ્તારમાં લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો...

