સુરત: 24 કલાકથી પાણીનો કહેર યથાવત, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
સુરતના સરથાણાથી જકાતનાકા જતો મુખ્ય માર્ગ છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ હોવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

Published : July 8, 2026 at 10:36 PM IST
સુરત: સુરત શહેરમાં ભારે વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણીનો કહેર યથાવત છે. સરથાણાથી જકાતનાકા જતો મુખ્ય માર્ગ છેલ્લા 24 કલાકથી જળમગ્ન બન્યો છે. સરથાણા પોલીસચોકી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં કમર સમા પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના સરથાણાથી જકાતનાકા જતો મુખ્ય માર્ગ છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ હોવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સરથાણા પોલીસચોકી વિસ્તાર સહિત અનેક સ્થળોએ કમર સમા પાણી ભરાતા લોકો ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
પાણી ભરાવાના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દુકાનો બંધ રહેતા ધંધા રોજગાર પર સીધી અસર પડી છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓનું દૈનિક જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.
રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે સ્કૂલ બસો, સુમુલ ડેરીના દૂધના ટેન્કરો તેમજ અન્ય અનેક નાના મોટા વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે લાંબા સમય સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન આ વિસ્તારમાં મહાનગરપાલિકાના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. પાણીના ઝડપી નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી ન થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
હાલ વરસાદ બંધ હોવા છતાં પાણી ઓસરવાનું નામ લેતું નથી. સ્થાનિકો વહેલી તકે પાણીનો નિકાલ થાય, માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો બને અને જનજીવન પૂર્વવત થાય તેવી આશા સાથે તંત્રની કામગીરીની રાહ જોઈ રહ્યા છે.

