પ્રેમનો ખતરનાક અંજામ: કોસંબા મર્ડર કેસનું રિ-કન્સ્ટ્રક્શન, હત્યારાના મનમાં કેવી રીતે આવ્યો 'બેગ' પ્લાન?
કોસંબા પોલીસે દિલ્હી નજીકથી ઝડપી પાડેલા આરોપી રવિ શર્માને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Published : November 9, 2025 at 9:00 PM IST
સુરત: સુરતના કોસંબા - તરસાડી ઓવરબ્રિજ નીચેથી સૂટકેસમાં મળી આવેલી યુવતીની લાશના સનસનાટીભર્યા કેસનો ભેદ ઉકેલાયા બાદ, પોલીસે આજે હત્યારા પ્રેમી રવિ શર્માને સાથે રાખી ઘટનાનું સંપૂર્ણ રી-કન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે જણાવ્યું કે લગ્ન માટેના રોજીંદા ઝઘડાથી ત્રસ્ત થઈને રવિએ જ પ્રેમિકા કાજલદેવીનું ગળું દબાવી હત્યા કરી હતી. આ રી-કન્સ્ટ્રક્શન જોવા માટે સ્થાનિકોની મોટી ભીડ એકઠી થઈ હતી, જ્યાં સૌની નજર હત્યારા રવિ શર્મા પર હતી.
હત્યાનો ખૂલતો ભેદ: રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા
કોસંબા પોલીસે દિલ્હી નજીકથી ઝડપી પાડેલા આરોપી રવિ શર્માને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની પૂછપરછમાં હત્યાની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રવિ શર્માએ કબૂલ્યું કે, જ્યારે તેમનો 4 વર્ષનો પુત્ર સોનુ નીચે રમી રહ્યો હતો, ત્યારે કાજલદેવી સાથે લગ્ન કરવાના દબાણ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ. ઉશ્કેરાટમાં તેણે કાજલદેવીનું ગળું દબાવી હત્યા કરી દીધી.
લાશને સંતાડવા માટે બેગનો ઉપયોગ શા માટે કર્યો?
આ સવાલના જવાબમાં રવિએ જણાવ્યું કે તેણે ન્યૂઝ ચેનલોમાં અન્ય રાજ્યોમાં લાશના ટુકડા કરીને બેગમાં ભરવાની ઘટનાઓ જોઈ હતી. આ જ ગુનાહિત વિચારથી પ્રેરાઈને તેણે કોસંબા બજારમાંથી ₹800ની ટ્રોલી બેગ ખરીદી અને લાશને તેમાં ભરી દીધી. જોકે, તેણે લાશના કટકા કર્યા નહોતા. હત્યા બાદ તે બાળક સોનુને નાસ્તો કરાવવા લઈ ગયો અને બાદમાં ટ્રેન સ્ટેશન પર રાહ જોતી વખતે બાળકે મમ્મી વિશે પૂછતાં, રવિએ "એ અન્ય ટ્રેનમાં આવે છે" તેવું જૂઠું કહી બાળકને ફોસલાવ્યો અને ફરાર થઈ ગયો.

ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન: પગલે પગલે તપાસ
કેસને મજબૂત બનાવવા માટે, આજે સાંજે કોસંબા પોલીસ રવિ શર્માને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તેના ઘરથી લઈને 500 મીટર દૂર જ્યાં તરસાડી ઓવરબ્રિજ નીચે લાશ ફેંકવામાં આવી હતી, તે આખી ઘટનાનું ક્રમશઃ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન હત્યારાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જેઓ આ ઘૃણાસ્પદ ગુનાને જોઈ સ્તબ્ધ હતા.

કરુણ અંજામ: માસૂમ પુત્રે આપી મુખાગ્નિ
કાજલદેવીના મૃતદેહના કોસંબા ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આ દ્રશ્ય અતિ હૃદયદ્રાવક હતું, કારણ કે માત્ર ચાર વર્ષના માસૂમ પુત્ર સોનુએ તેની માતા કાજલદેવીને મુખાગ્નિ આપી હતી. આ કરુણ ક્ષણે હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. મરનારની માસીએ આપેલી માહિતી મુજબ, રવિની ચાલચલગત સારી ન હોવાથી કાજલને વારંવાર સંબંધ ન રાખવાની સલાહ અપાઈ હતી, પરંતુ પ્રેમના પાશમાં બંધાયેલી કાજલે અંતે પોતાના જીવનનો ભોગ આપવો પડ્યો.

આ પણ વાંચો:

