સુરતમાં ધર્માંતરણ અને દુષ્કર્મનો જ્વલંત કેસ, કુલ 6 આરોપીઓ જેલ ભેગા, જેમાં 4 તો સરકારી શિક્ષકો નીકળ્યાં
આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી.

Published : January 3, 2026 at 1:26 PM IST
સુરત : જિલ્લાના માંડવીમાં આદિવાસીઓના ધર્માંતરણનું મસમોટું રેકેટ હવે પત્તાની જેમ ખુલી રહ્યું છે. જેમના શિરે સમાજને શિક્ષિત કરવાની જવાબદારી છે, તેવા વધુ એક સરકારી શાળાના મહિલા શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી છે. માસ્ટર માઈન્ડ રામજી ચૌધરી સાથે મળીને મહિલાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરનાર શિક્ષિકા હવે જેલના સળિયા પાછળ છે. આખરે કેવી રીતે ચાલતું હતું આ આખું નેટવર્ક? જાણો વિગતે...
સુરત જિલ્લાનું માંડવી અત્યારે ધર્માંતરણના ગંભીર આરોપોથી ગાજી રહ્યું છે. ડૉ. અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ કરી અને ત્યારબાદ જે સત્ય બહાર આવવાથી સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે. આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, કે મીના ચૌધરી આ ધર્માંતરણ રેકેટના માસ્ટર માઈન્ડ પાસ્ટર રામજી ચૌધરીની અત્યંત નજીક હતી. ખાસ કરીને ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે લલચાવવી અને દબાણ કરવામાં મીનાની સક્રિય ભૂમિકા હતી. પાપનો ઘડો ફૂટવાના ડરથી ધરપકડ પહેલા મીનાએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પુરાવા નાશ કરી શકાય. પરંતુ ખાખીની નજરથી તે બચી શકી નહીં.

આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેલ ભેગા થયા છે, જેમાં 4 તો માત્ર સરકારી શિક્ષકો છે
- રામજી ચૌધરી (શિક્ષક)
- ગુરજી ચૌધરી (શિક્ષક)
- રાકેશ વસાવા (શિક્ષક)
- મીનાબેન ચૌધરી (શિક્ષિકા)
- ડૉ. અંકિત ચૌધરી (મુખ્ય આરોપી)
- નવીન ચૌધરી
પોતાના જ આદિવાસી સમાજના લોકોને લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનું આ નેટવર્ક DYSP બી.કે. વનારે ખુલ્લું પાડ્યું છે. બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ અને હવે એક પછી એક શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ જગતમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શું હજુ પણ કોઈ મોટા માથાઓ આ રેકેટ પાછળ છે? શું પોલીસ તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થશે.
આ પણ વાંચો...

