બારડોલી: પેપર ખરાબ જતા નાપાસ થવાની બીકે વિધાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
કેમેસ્ટ્રીનું પેપર સારું ન જતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

Published : March 1, 2026 at 10:34 PM IST
સુરત: સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામેથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી રહેલી એક 20 વર્ષીય વિદ્યાર્થિનીએ માત્ર એક પેપર નબળું જવાની બીકે મોતને વહાલું કર્યું છે. પરીક્ષાના ટેન્શનમાં લેવાયેલા આ આખરી પગલાંએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
ઘટનાની વિગત મુજબ, બાબેન ગામની ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ વિદ્યાર્થીની આ વર્ષે બીજી વખત પરીક્ષા આપી રહી હતી, જેના કારણે તેના પર સફળ થવાનું દબાણ કદાચ વધુ હતું. ગઈકાલે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ રસાયણ વિજ્ઞાન (Chemistry)નું પેપર હતું. પરીક્ષા આપીને ઘરે પરત ફરેલી વિદ્યાર્થીનીનું પેપર સારું ન ગયું હોવાને કારણે તે માનસિક રીતે ભારે ચિંતિત જણાઈ રહી હતી. આ ચિંતા એટલી હદે વધી ગઈ કે સાંજે 4:45 થી 5:30 ના ગાળામાં, જ્યારે તે પોતાના રૂમમાં એકલી હતી, ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો.
બારડોલી પોલીસ મથકના પીઆઈ V A DESAI એ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરીક્ષાના પ્રારંભે જ બનેલી આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણ સામે લાલબત્તી ધરી છે. એક પેપર ખરાબ જવું એ જિંદગીની હાર નથી, પરંતુ ડરના કારણે જિંદગી ટૂંકાવી દેવી એ ક્યારેય ઉકેલ હોઈ શકે નહીં.
આ પણ વાંચો:

