સોમનાથ સ્વાભિમાન પર્વ: સોમનાથ સંસ્કૃત પાઠશાળામાં બાળકોને ભણાવાય છે આધ્યાત્મિક જ્ઞાન
આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને અને શંખનાદ કરી નવી ચેતના પ્રસરાવી છે.

Published : January 9, 2026 at 4:37 PM IST
સોમનાથ : દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં વર્ષો જૂની એક એવી પાઠશાળા આવી છે. જે ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરવાની સાથે પ્રવર્તમાન સમયમાં સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સંધાન સ્થાપિત રહી છે. આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને અને શંખનાદ કરી નવી ચેતના પ્રસરાવી છે.
આ પાઠશાળા એટલે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા, જ્યાં નિત્ય વેદની ઋચાઓ, શ્લોકો, મંત્રોનો ગુંજારવ થાય છે. સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છે.
સોમનાથ સંસ્કૃત પાઠશાળા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, તેમાં શિક્ષણકાર્યની જવાબદારી નિભાવતા મિલન પંડ્યા કહે છે કે, "વર્ષો જૂની સંસ્કૃત પાઠશાળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી વિસ્તાર પામી છે. અહીંના ઋષિકુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ, પાણીની વ્યાકરણ સહિતના વિષયો પર અભ્યાસ કરી રહ્યા છે, સાથે જ પ્રવર્તમાન સમય મુજબ અહીંના વિદ્યાર્થીઓનું સમાજ સાથે સંધાન કેળવાય તે માટે અંગ્રેજી અને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત તિલક કેમ કરવું, સપ્તપદી, 16 સંસ્કાર, વગેરે આ ધાર્મિક વિધિવિધાનો પાછળનું તર્ક અને મહત્વ સમાજ જાણે તેમાં પણ આ ઋષિ કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
"આપણી ગૌરવશાળી ઋષિ પરંપરા જળવાઈ રહે તે માટે એના વિદ્યાર્થીઓને ગૌશાળા અને નૈસર્ગિક વાતાવરણમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે. સાથે જ કર્મકાંડ, યજ્ઞયજ્ઞાદિ, પ્રાણ પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક અનુષ્ઠાનોનું પ્રેક્ટીકલ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે." - મિલન પંડ્યા, સંસ્કૃત પાઠશાળા પ્રાધ્યાપક
મિલન પંડ્યાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભવ્ય રીતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી આજની યુવા પેઢી આપણા હજારો વર્ષો જુના સમૃદ્ધ વારસામાંથી પ્રેરણા મેળવશે, સોમનાથની રક્ષા માટે અસંખ્ય શાહિદ વીરોએ કુરબાની આપી છે, તેનાથી અવગત થઈ યુવા પેઢીને નવી પ્રેરણા મળશે. આપણી ભવ્ય સંસ્કૃતિનો સંદેશ પણ જન-જન સુધી પહોંચશે.

રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત આ શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે, અહીં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. જેનો ખર્ચ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે છે.
આ પણ વાંચો...

