નદીની વચોવચ બિરાજે છે ભુવનેશ્વર મહાદેવ, અરવલ્લી જિલ્લામાં આવેલું શિવજીનું સુંદર અને અલૌકિક પ્રાચીન મંદિર
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ઇદ્રાસી નદીના કિનારે અને કુદરતી સૌંદર્યથી ભરપુર વાતાવરણ વચ્ચે ભુવનેશ્વર મહાદેવનું સુંદર અને પ્રાચીન મંદિર આવેલું છે.

Published : September 1, 2026 at 9:46 AM IST
અરવલ્લી: ભિલોડા થી 3 કિલોમીટર દૂર પવિત્ર ઇદ્રાસી નદીના કિનારે કુદરતી નયનરમ્ય વાતાવરણ વચ્ચે સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે. ભુવનેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. મહાદેવના દર્શનથી મળતી આધ્યત્મિક શાંતિ અને અહીંના કુદરતી સૌંદર્યના દર્શનથી મળતી મનની શાંતિ સૌ કોઈને આકર્ષે છે.
ભુવનેશ્વર મંદિરને લઈને લોકવાયકા
કહેવાય છે કે, વર્ષો પહેલા અહીં ગાઢ જંગલ હતું, જંગલમાં ગોવાળો ગાયોને ચરાવવા જતા હતા ત્યારે અહીં આવેલી એક ગુફા અને એક વૃક્ષ પાસે એક ગાય દૂધની ધારા કરતી હતી, એક દિવસ યોગાનુયોગ ગોવાળ આજ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ ગાય આ વૃક્ષ પાસે આવી અને સ્વયંભૂ દૂધની ધારા કરવા લાગી, આ દ્રશ્ય જોઈ ગોવાળ આશ્ચર્ય ચકિત થઇ ગયો, અને આ વૃક્ષ કે જ્યાં ગાય દૂધની ધારા કરતી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ દેખાયું અને પછી ગોવાળે આસપાસના લોકોને જાણ કરી અને લોકો આ સ્થાને શિવલિંગના દર્શન કરવા દોડી આવ્યા.
ભૃગુકુંડમાં સ્નાન કરવાથી ચામડી રોગ મટતો હોવાની માન્યતા
દિવસેને દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી અને અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આ સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના શરૂ કરાઈ. મંદિરના મહિમા વિશે એવું પણ જાણવા મળ્યું છે કે, ઈડર સ્ટેટના પંચરત્નોમાં સ્થાન ધરાવતા આ ધામમાં ભૃગુકુંડ આવેલું છે. ભૃગુકુંડની માટી લગાવવાથી ચામડીના રોગમાંથી મુક્તિ મળતી હોવાની ધાર્મિક માન્યતા છે.

મંદિરનું ઐતિહાસિક મહત્વ
આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે, આ સ્થાન પર વેદ અને પુરાણોમાં જે ઋષિઓના નામ વર્ણવેલા છે તેમના એક ચ્યવન ઋષિનું નામ પણ પ્રચલિત છે, એ ચ્યવન ઋષિનો આશ્રમ અહીં આવેલો છે, કહેવાય છે કે કાશીનરેશની પુત્રી સુકન્યા અહીં ચ્યવાન ઋષિ પાસે તપ કરવા આવી હતી અને તપના પ્રભાવ થી સુકન્યાનું શરીર રાફડામય બની ગયું અને તેના માત્ર નેત્ર સિવાય કંઈ બીજું દેખાતું ન હતું, જેથી કાશી નરેશે એક ડાભની સળી લઇ ઋષિના નેત્ર તરફ નાખી જેથી ઋષિના નેત્ર ઠરડાઈ ગયા, જેનાથી ક્રોધિત થયેલા ઋષિએ કાશી નરેશને શ્રાપ આપ્યો, જેથી કાશી નરેશ સહીત તેનું તમામ સૈન્ય રોગિષ્ટ થયું જેથી તેના પસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ સાથે પરણાવવામાં આવી અને આ સ્થાનકે આશ્રમે દેવોના વેદ અશ્વિનીકુમારો યોગાનું યોગ આવી પહોંચ્યા.

સુકન્યાએ અશ્વિનીકુમારોનું ભાવભીનું આતિથ્ય કર્યું. આ પ્રભાવને જોઈ અશ્વિની કુમારોએ સુકન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પણ સુકન્યા સહેજ પણ વિચલિત થઈ નહિં, જેથી અશ્વિની કુમારો એ સુકન્યાના દ્રઢ મનોબળના પ્રભાવથી પ્રસન્ન થઈ ચ્યવાન ઋષિના નેત્ર પરત આપવા આ સ્થાનકની બાજુમાં આવેલા સરોવરમાં ઔષધીઓ નાખી, અને ઋષિને લઈ અશ્વિની કુમારો આ સરોવરમાં ડૂબકી લગાવી. સરોવરમાંથી બહાર આવ્યા ત્યારે ઋષિમુનીની બંને નેત્રોમાં દ્રષ્ટિ પરત આવી, જેથી આ કુંડને ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૃગુ કુંડમાં કોઈપણ રોગિષ્ટ વ્યક્તિ સ્નાન કરે તો તેના રોગ દૂર થાય છે તેવી પણ પ્રબળ માન્યતાઓ છે. ખાસ કરીને ચામડીના રોગ દૂર કરવા માટે અનેક ભક્તો આ ભૃગુ કુંડમાં સ્નાન કરે છે. આ મહત્તમ શ્રીમદ ભાગવતના નવમાં સ્કંદના ત્રીજા અધ્યાયમાં વર્ણવેલો છે.

ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચના
ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકે દર શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ભગવાન ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરે છે. ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે બીલીપત્ર ચઢાવાઈ છે, સવાલક્ષ બીલીના અનુષ્ટાન કરે છે. શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો આવે છે, અને સ્વયંભૂ ભોળાનાથના સાનિધ્યમાં માટીમાંથી બનાવેલા પાર્થિવ લિંગની પણ પૂજા કરે છે, આમ આવા પવિત્ર ઈદ્રશી નદીના કિનારે ખુબજ આહલાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા નજીક આવેલા પૌરાણિક શ્રી ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. પ્રકૃતિના ખોળે બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
અમદાવાદથી પરિવાર સાથે અહીં દર્શનાર્થે આવેલા હીરલબેને જણાવ્યું હતું કે, 300 વર્ષથી વધુ જૂના આ પૌરાણિક ધામનું વાતાવરણ ખૂબ જ શાંત અને રમણીય છે. સોશિયલ મીડિયા પર મંદિરની સુંદરતા જોઈ અહીં દર્શન કરવા આવ્યા છીએ.- હિરલબેન, શ્રદ્ધાળું

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભિલોડા સ્થિત પૌરાણિક શ્રી ભવનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મહેસાણાથી સપરિવાર દર્શનાર્થે આવેલા ઉર્મિલાબેન મહેતાએ મંદિરની સુંદરતા અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પ્રકૃતિના સાનિધ્યમાં ભવનાથ મહાદેવના શાંતિપૂર્ણ દર્શન કરી સમગ્ર પરિવારને આનંદ અને માનસિક શાંતિની અનુભૂતિ થઈ છે.-ઉર્મિલાબેન મહેતા, દર્શનાર્થી

અરવલ્લીના ભિલોડા તાલુકામાં આવેલા પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ભરૂચથી પરિવાર સાથે આવેલા સતીશ મહેતાએ જણાવ્યું કે, ડેમની વચ્ચે પ્રકૃતિના ખોળે આવેલું મંદિર ખૂબ જ સુંદર અને મનમોહક છે. ભવનાથ મહાદેવના દર્શન કરી પરિવારને આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાની અનુભૂતિ થઈ છે. - સતીશ મહેતા, શ્રદ્ધાળું
પૌરાણિક ભુવનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ભક્તો જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી મહાદેવની આરાધના કરી રહ્યા છે. મંદિરના શાસ્ત્રી ચિરાગકુમાર રજનીકાંતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ઈડર સ્ટેટના પંચરત્નોમાં સ્થાન ધરાવતા આ ધામમાં ભૃગુકુંડ આવેલું છે. ભૃગુકુંડની માટી લગાવવાથી ચર્મરોગમાંથી મુક્તિ મળતી હોવાની ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં અહીં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. - ચિરાગકુમાર, મંદિરના શાસ્ત્રી
આ પણ વાંચો

