સપ્તકના ત્રીજા દિવસે ઉસ્તાદોનો સુર લય તાલનો અદભૂત અભિષેક, ઉસ્તાદ સુજાત ખાને ભાવકોને ડોલાવ્યા
સપ્તક સંગીત સમારોહના ત્રીજા દિવસે શનિવારે ઉસ્તાદ સુજાત ખાન, મંજૂષા પાટીલ અને હેતલ મહેતા જોષીના પરફોર્મન્સના રસથાળનો રહ્યો.

Published : January 4, 2026 at 12:44 PM IST
|Updated : January 4, 2026 at 2:32 PM IST
અમદાવાદ: અમદાવાદામાં ચાલી રહેલા સપ્તક સંગીત સમારોહના ત્રીજા દિવસે શનિવારે ઉસ્તાદ સુજાત ખાન, મંજૂષા પાટીલ અને હેતલ મહેતા જોષીના પરફોર્મન્સના રસથાળનો રહ્યો. સપ્તકની ત્રીજી રાત્રે ઉસ્તાદ સુજાત ખાને સિતાર અને ગાન સાથે, તો મંજૂષા પાટિલના કંઠ અને હેતલ મહેતા જોષીના તબલા વાદનથી સંપન્ન થઈ.
માતા પિતા ગુરૂ પણ હતા, તેમની શિક્ષા અને પરંપરા આગળ ધપાવવી એ જવાબદારી છે: હેતલ મહેતા જોશી
સપ્તક સંગીત સમારોહના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં પંડિત નંદન મહેતા અને વિદુષી મંજુ મહેતાના તબલા વાદક પુત્રી હેતલ મહેતા જોશીની પ્રસ્તૃતી હતી. કલાકાર માતા-પિતાના સંગીત સંસ્કાર હેતલ મહેતા જોશીના તબલા વાદનમાં પડઘાયા હતા. હેતલ મહેતા જોશીએ મંચ પરથી મન એક અવસ્તે વિલંબિત તાલ ધમાલ અને મધ્ય ટીન તાલ રજૂ કર્યા હતા.
હેતલ મહેતા જોશી એ તેમના માતા પિતા અને ગુરુ જનોના સ્મરણ સાથે પૂરા ભાવ અને તાલ થકી અનોખું ભાવ વિશ્વ તબલા સંગ સર્જ્યું હતું. પોતાની પ્રસ્તુતિમાં બનારસ ઘરાના ગત બોલ સાથે પંડિત કિશન મહારાજ અને પંડિત મદન મોહનજીના ટુકડાની પ્રસ્તુતિ એ દાદ મેળવી.
ઈટીવી ભારત સાથે એક્સકલુસિવ સંવાદમાં હેતલ મહેતા જોશી એ પોતાના માતા પિતાના સંગીત સંસ્કાર અને શાસ્ત્રીય પરંપરા આગળ ધપાવવા માટે જવાબદારી ગણાવી અને કહ્યું કે, સપ્તક સંગીત સમારોહ એ વૈશ્વિક સ્તરે અનોખું શાસ્ત્રીય સંગીતનું પ્લેટફોર્મ છે.
બનારસ ઘરાનાના વીરરસ પ્રદાન વાદન શૈલીથી તાલ વિલ્મ્બીત ધમારમાં "તા" ની તિહાઈ તથા ઉઠાનની ગર્જના યુક્ત સ્વતંત્ર તબલા વાદનની અદ્ભુત શરૂઆત કરી. ચલણચાલા, લયકારીયુક્ત બાટ, રેલા, ઉપજઅંગ તિહાઈઓ, મધ્યલય તીનતાલ માં ટૂકડા, ઉપજઅંગ - અનાગત જેવી વિશિષ્ટ પ્રકારની તિહાઈઓ,લયકારીયુક્ત અનેક પ્રાચીન રચનાઓ સાથે તૈયારી પૂર્ણ વાદન રજૂ કર્યુ હતું.
બીજા સત્રમાં મંજુષા પાટીલના ગાન પર આફ્રિન પોકારી ઉઠ્યા ભાવકો
બીજા સત્રમાં મૂળે પૂનાના વોકલ આર્ટિસ્ટ મંજુષા પાટીલની ગ્વાલિયર અને આગ્રા ઘરાનાની ગાયકી એ રંગ રાખ્યો. મંજુષા પાટીલના ગાનમાં રાગ બાગેશ્રીમાં 'કોન ગત ભઈની' બંદિશ રજૂ કરી. ત્યાર બાદ મંજુષા પાટીલે દ્રુત તાલમાં 'જા રે જા રે બદરા તુ' રજૂ કરી અંતે તારાના પ્રસ્તુત કરી સૌ ને ગાન થકી ડોલાવ્યા. છેલ્લે પોતાની રજૂઆતમાં મંજુશા પાટીલે મીરાંબાઈની રચના 'મારે ઘરે આવો જી' રજૂ કરી પોતાના ગુરુકુળ શિક્ષાનો પરિચય કરાવ્યો. તેમની સાથે તબલા પર યશવંત વૈષ્ણવ અને હાર્મોનિયમ પર વિનય મિશ્રા એ સંગત કરી હતી. ઈટીવી ભારત સાથે એક્સકલુસિવ સંવાદમાં મંજૂષા પાટીલે ભારતીય સંગીત પરંપરા માટે ગુરુકુળ પ્રથા ને અનિવાર્ય ગણાવી હતી.
ઉસ્તાદ સુજાત ખાનની સિતાર અને ગાયનો એ રંગતમાં ઉર્જા લાવી, રાત્રિને રસમય બનાવી
સપ્તકના ત્રીજા દિવસનું અંતિમ સત્ર સિતાર વાદક અને ગાયક ઉસ્તાદ સુજાત ખાન સાહેબના નામે રહ્યું. સિતાર પર ઉસ્તાદ સુજાત ખાને રાગ તિલક કમોદમાં આલાપ, જોડ અને અંતે ગાન થકી તેઓ એ પોતાની પ્રસ્તુતિથી ભાવકોને તરબતર કર્યા. છેલ્લી સાત પેઢીથી સંગીત સાથે જોડાયેલા કુટુંબની ધરોહર ઉસ્તાદ સુજાત ખાન આગવી સંગીત પરંપરા થકી નિભાવે છે. ઉસ્તાદ સુજાત ખાન સાથે તબલા પર સંગત સપન અંજારિયા અને શરિક મુસ્તફાએ કરી હતી. પોતાની પ્રસ્તુતિ અંત ભાગમાં પોતાને લોકપ્રિય લોક સાહિત્યની રજૂઆતથી કર્યો હતો. સિતાર સંગ ઉસ્તાદ સુજાત ખાનની ગાયકીના પણ શ્રોતા દિવાના છે. ઉસ્તાદ સુજાત ખાને સપ્તક સંગીત સમારોહને ભારતીય સંગીત પરંપરાનું અનોખું વૈશ્વિક મંચ ગણાવ્યું હતું.

