સુરેન્દ્રનગરના તરણેતરમાં ખનીજ ચોરી ઉપર દરોડા, ચાર ડમ્પર સહિત 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરના તરણેતરમાં સફેદ માટીનું ખનન કરવામાં આવતી હોવાની જાણ થતા ડેપ્યુટી કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

Published : March 4, 2026 at 10:51 AM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ખનીજ ચોરી ઝડપાઇ છે. સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતરમાં ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તરણેતરમાંથી 5 ડમ્પર સહિત 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર દરોડા
બનાવની વિગત જોઇએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા દ્વારા મોડી રાત્રે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ કામગીરી દરમિયાન સેન્ડ સ્ટોન તથા સફેદ માટીનું ખનન ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન સફેદ માટીનું ખનન કરતા ચાર ડમ્પર અને એક ટ્રેક્ટર સાથે 1.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાહન માલિક અને ખનન કરતા તત્વો વેરશીભાઇ સારદીયા (તરણેતર), લગધીરભાઇ લલોતરા (ડોડીયા), હેમુભાઇ ખમાણી (તરણેતર) તેમજ કાળુભાઇ ખમાણી (તરણેતર) સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડેપ્યુટી કલેક્ટર દ્વારા જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં માપણી કરી અને દંડ વસુલાતની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
તરણેતરમાં સફેદ માટી અને સેન્ડસ્ટોનના ખોદકામ ઉપર દરોડા પાડ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે, "જે ગામોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તેની જવાબદારી સરપંચ અને ત્યાંના તલાટીની હોય છે, તેમની બેદરકારી ગણવામાં આવશે અને જવાબદાર સરપંચ અને તલાટી સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે."
આ પણ વાંચો:

