જામનગરમાં PM મોદીના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ તેજ, વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા રૂટનું નિરીક્ષણ
વડાપ્રધાનના આગમન પૂર્વે આજે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

Published : May 5, 2026 at 6:03 PM IST
જામનગર: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 મે ના રોજ જામનગરની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. વડાપ્રધાનના આ સંભવિત આગમનને પગલે જામનગરનું વહીવટી તંત્ર અને પોલીસ કાફલો એક્શન મોડમાં આવી ગયો છે. ખાસ વાત એ છે કે, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન જામનગરમાં રાત્રી રોકાણ પણ કરી શકે છે, જેને લઈને સુરક્ષા અને પ્રોટોકોલની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
તંત્ર દ્વારા રૂટનું જીણવટભર્યું નિરીક્ષણ
વડાપ્રધાનના આગમન પૂર્વે આજે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા (SP), DySP તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એરપોર્ટથી લઈને વડાપ્રધાન જ્યાં રોકાવાના છે અને જે જે માર્ગો પરથી તેમનો કાફલો પસાર થવાનો છે, તે તમામ રૂટની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

દબાણ હટાવવાની કામગીરી અને સાફ-સફાઈ
મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાનના રૂટ પર આવતા રસ્તાઓ પર વિશેષ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી એસ્ટેટ શાખા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રસ્તાઓના પેચવર્ક, રંગરોગાન અને સુશોભનની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે, જેથી શહેર વડાપ્રધાનના સ્વાગત માટે સજ્જ દેખાય.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સુરક્ષાના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા અત્યારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનના રાત્રી રોકાણને પગલે જે સ્થળે તેઓ રોકાવાના છે ત્યાં થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રિહર્સલ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ આગામી દિવસોમાં પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાનની આ મુલાકાત જામનગર માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જો 10 તારીખે વડાપ્રધાન જામનગર આવશે, તો શહેરના વિકાસ કાર્યો અને આગામી આયોજનોને લઈને પણ નવી ઉર્જાનો સંચાર થશે તેવું લોકો માની રહ્યા છે.
આ પણ વાંચો:

