અડાસ પાસે નિર્માણાધીન રેલવે બ્રિજનો ભાગ ધરાશાયી: ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ કરી, જવાબદારો સામે કાર્યવાહી થશે
રેલ્વેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બ્રિજના ધરાશાયી થયેલા ભાગનું નિરીક્ષણ કર્યું

Published : May 31, 2026 at 10:32 PM IST
આણંદ: આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની ઘટનાને લઈને રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, રેલ્વેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બ્રિજના ધરાશાયી થયેલા ભાગનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ટેકનિકલ ટીમ સાથે ઘટનાના કારણો અંગે પ્રાથમિક માહિતી મેળવી હતી.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાને લઈને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ એક સત્તાવાર રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. રિપોર્ટના આધારે બ્રિજના નિર્માણમાં કોઈ બેદરકારી, તકનીકી ખામી અથવા ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
પ્રાથમિક તબક્કે કોન્ટ્રાક્ટર અને કામગીરી સાથે સંકળાયેલા અન્ય જવાબદાર લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસ દરમિયાન કોઈની બેદરકારી કે ગેરરીતિ સામે આવશે તો સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવી છે.
આ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું કે, આ ગંભીર ઘટના છે અને તેની સંપૂર્ણ તપાસ થશે. આની નોંધ ઉપર સુધી લેવાઈ છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અડાસ ખાતે બની રહેલા આ રેલ્વે બ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડતા ભારે ગડરો જમીન પર ખાબક્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાએ નિર્માણ કામગીરીની ગુણવત્તા અને સલામતી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો:

