ETV Bharat / state

નર્મદા: ભારે વરસાદ-કાદવભર્યા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ અટવાઈ, 108ની ટીમે જોળીમાં દર્દીને નાખીને લઈ ગઈ

ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 75 વર્ષની વૃદ્ધાને સાપે ડંખ માર્યો હતો. આથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

108ની ટીમે જોળીમાં દર્દીને નાખીને લઈ ગઈ
108ની ટીમે જોળીમાં દર્દીને નાખીને લઈ ગઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 27, 2026 at 10:41 PM IST

1 Min Read
Choose ETV Bharat

નર્મદા: રાજપીપળા ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારે વરસાદના કારણે કાદવ, પથ્થરો અને વહેતા નાળા પાર કરીને 108ની ટીમ વૃદ્ધ દર્દીને સમયસર સારવાર આપીને જીવ બચાવ્યો હતો.

માહિતી મુજબ, ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 75 વર્ષની વૃદ્ધાને સાપે ડંખ માર્યો હતો. આથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે વિસ્તારમાં ભારે વરસાદ અને કાદવભર્યા માર્ગોને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત અને ફરજનિષ્ઠા દાખવી 75 વર્ષના મહિલા દર્દીને જોળીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નર્મદાના માહિતી વિભાગ દ્વારા X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી હતી, સાથે જ જણાવાયું હતું કે, સમયસર સારવાર મળી જતા વૃદ્ધાનો જીવ બચી ગયો હતો. આ ભારે વરસાદ વચ્ચે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમને કારણે બંને કર્મચારીઓની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

જોકે બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઘટનાનો વીડિયો પોસ્ટ કરીને સરકારની નિષ્ફળતા પર પ્રહાર કર્યા છે અને લખ્યું છે કે, વર્ષોથી વચનો સિવાય કંઈ નહીં આપતી ભાજપ હજુ પણ આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તા અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. પરિણામે, દર્દીઓને હજુ પણ કામચલાઉ ગોફણમાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. '108' સેવાના કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમની માનવતાવાદી ફરજ બજાવી, છતાં ભાજપ સરકાર તેની જવાબદારીઓ નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ડેડિયાપાડાના આ દ્રશ્યો ભાજપાના વિકાસના નહીં, પરંતુ આદિવાસી વિસ્તારો પ્રત્યેની તેની નિષ્ફળતા, ઉપેક્ષા અને ઉદાસીનતાનો જીવંત પુરાવો છે.

આ પણ વાંચો:

  1. સોમનાથમાં ફૂડ પોઇઝનિંગ: રેસ્ટોરન્ટમાં વાસી પાઉંભાજી ખાધા બાદ રાજસ્થાનના 10 બાળકો બીમાર! ફૂડ વિભાગનો દરોડો
  2. જામનગર: સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ 10થી વધુ માસુમોની તબિયત બગડી, હોસ્પિટલે ખસેડાયા