પાલનપુરના 20થી વધુ યુવકો દુબઈમાં, માતાપિતા ચિંતામાં; યુવકોએ વીડિયો કોલથી જણાવ્યું 'હાલમાં તેઓ સુરક્ષિત'
મહત્વનું છે કે, ફ્લાઈટ્સ, એરપોર્ટ અને એરબેજ બંધ હોવાના કારણે તેઓ હાલમાં તાત્કાલિક વતન પણ પરત ફરી શકે તેવી સ્થિતિ નથી.

Published : March 2, 2026 at 3:27 PM IST
બનાસકાંઠા: મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈરાક અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના તણાવની અસર હવે બનાસકાંઠા સુધી પહોંચી છે. દુબઈમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા પાલનપુરના 20થી વધુ યુવકોના માતા-પિતા ચિંતિત બન્યા છે. દર કલાકે વીડિયો કોલ કરી પરિવારજનો પોતાના સંતાનોના સમાચાર લઈ રહ્યા છે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાક વચ્ચે શરૂ થયેલા યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં વર્ષોથી ત્યાં ધંધા-રોજગાર માટે સ્થાયી થયેલા પોતાના સંતાનો અને પરિજનો માટે બનાસકાંઠાના પાલનપુરના કોલેજ કંપાઉન્ડ સહિત વિવિધ વિસ્તારમાં રહેતા માતા-પિતા સહિતના વડીલો ચિંતિત જોવા મળ્યા હતા. તેઓ ચિંતા કરી રહ્યા છે કે, ત્યાંની સ્થિતિ વચ્ચે અમારા બાળકોની સ્થિતિ શું છે? વીડિયો કોલના માધ્યમથી દર કલાકે પરિવારજનો ત્યાની સ્થિતિ વિશે જાણકારી મેળવી રહ્યા છે.
મહત્વનું છે કે, ફ્લાઈટ્સ, એરપોર્ટ અને એરબેજ બંધ હોવાના કારણે તેઓ હાલમાં તાત્કાલિક વતન પણ પરત ફરી શકે તેવી સ્થિતિ નથી. જેના કારણે હાલમાં તેમને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ દુબઈમાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાલનપુર શહેરના 20 જેટલા યુવકો રોજગાર માટે દુબઈમાં રહે છે, ત્યારે હવે તેમના માતા-પિતા પોતાના પુત્રોને લઈને ચિંતિત છે. સતત ટીવી સામે બેસીને યુદ્ધના સમાચાર જોતા માતા-પિતા ભાવુક થઈ રહ્યા છે. જોકે સામે વિડિયો કોલના માધ્યમથી યુવકો જણાવી રહ્યા છે કે, હાલમાં દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તેઓ સુરક્ષિત છે છતાં માતા પિતાની ચિંતા ઓછી થતી નથી.

સંતાનોની ચિંતા તો ઘણી થાય છે, પરંતુ દર 1-2 કલાકે તેમના સાથે ફોનથી વાત થાય છે અને એ લોકો સેફ છે. મારા ઘરના અને સંબંધીઓના લગભગ 20-22 છોકરા ત્યાં છે. હજુ સુધી તો કઈ સમસ્યા નથી આવી. ફક્ત ફ્લાઇટો બંધ છે એટલે એ લોકો અહીં આવી શકતા નથી. ત્યાં હાલ શોપિંગ મોલ અને હોટલો ચાલુ છે, પણ બજારો બંધ છે એટલે તમામ છોકરાઓ તેમના ઘરે જ છે. - જયેશભાઈ રાવલ, વિદેશમાં રહેતા યુવકના પિતા
દુબઈની આસપાસ ક્યારેક આકાશમાં હવાઈ હુમલાના અવાજ સંભળાતા હોવાની ચર્ચાઓથી પરિવારજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, સરકાર તરફથી સ્પષ્ટ માર્ગદર્શન મળે તો પરિવારને થોડી રાહત મળી શકે છે.
નોધનીય છે કે, ઈઝરાયેલ - અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો અંત ક્યારે આવે છે તે માતાપિતા માટે ચિંતાનો વિષય છે. જો કે યુદ્ધ બાદ હવે હાલની પરિસ્થિતિ જોતા ત્યાં તમામ પ્રકારની ફલાઈટો રદ કરી દેવામાં આવી છે અને જેને લઈને પરિવારજનો પોતાના સંતાનોને અને ત્યાં રહેતા પોતાના લોકોને પરત લાવી શકે તેમ નથી. પરંતુ એ વાતની રાહત છે કે વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા લોકો ત્યાંની પરિસ્થિતિ વાકેફ છે અને હાલમાં ત્યાં કોઈ ગંભીર પરિસ્થિતિ ન હોવાના કારણે પોતાના પરિવારને તેઓ ચિંતા ન કરે તેવું તેવો વીડિયો કોલના માધ્યમથી જણાવી પણ રહ્યા છે.
આ પણ વાંચો:

