મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ઈંધણના ભાવ વધશે?, ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કરી સ્પષ્ટતા
આ પરિસ્થિતિ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

Published : March 2, 2026 at 1:27 PM IST
|Updated : March 2, 2026 at 2:52 PM IST
અમદાવાદ : મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવોને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ મહુલ પટેલે જણાવ્યું કે, "છેલ્લા ત્રણ-ચાર દિવસથી યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં હાલ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર કોઈ સીધી અસર દેખાતી નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત પોતાની જરૂરિયાતનો મોટાભાગનો ક્રૂડ તેલનો જથ્થો રશિયા અને અમેરિકા પાસેથી આયાત કરે છે. આશરે 25 ટકા જેટલો જ જથ્થો સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશોમાંથી આવે છે.
તેમના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં પુરવઠા સાંકળમાં કોઈ મોટા અવરોધની શક્યતા દેખાતી નથી. શિપિંગ માર્ગો ખુલ્લા છે અને ભારત પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ટૂંકા ગાળામાં ઇંધણના ભાવોમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ જો પ્રતિ બેરલ 100 ડોલર સુધી ન પહોંચે તો દેશની અંદર ભાવવધારાની શક્યતા નહિવત રહે છે.
તેમણે ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી અને જણાવ્યું કે હાલ ગભરાટમાં આવીને વધારાની ખરીદી કરવાની જરૂર નથી. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ મોટી અસર થશે તો યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.
આ નિવેદનથી યુદ્ધ વચ્ચે ઊભી થયેલી મોંઘવારીની ચિંતામાં થોડી રાહત મળી છે. હવે નજર રહેશે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે અને તેનાથી ક્રૂડ બજાર પર શું અસર પડે છે.
આ પણ વાંચો...

