કાંકરેજના રવિયાણા ગામેથી 944 ગ્રામ અફીણ સાથે એકની અટકાયત, 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 944.10 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો છે.

Published : June 29, 2026 at 10:07 PM IST
બનાસકાંઠા: બનાસકાંઠા એસઓજીએ નશીલા પદાર્થો સામે જિલ્લામાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વધુ એક કેસમાં કાંકરેજ તાલુકાના રવિયાણા ગામેથી અફીણ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 944.10 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો છે.

એસઓજીની માહિતી અનુસાર, કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે અમરા કરશનભાઈ પટેલના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં અફીણનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઓરડીમાંથી 944.10 ગ્રામ અફીણ મળી આવ્યું હતું.
આ કેસમાં અમરા કરશનભાઈ પટેલને સ્થળ પરથી અટકાયતમાં લેવાયા છે. આ ઉપરાંત શ્રવણ ગૌતમલાલની સંડોવણી બહાર આવતા બંને વ્યક્તિઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એસઓજીએ જણાવ્યું છે કે 944.10 ગ્રામ અફીણ સાથે કુલ 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમરા કરશનભાઈ પટેલની પૂછપરછમાં અફીણ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને ક્યાં વેચવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. આ તપાસમાં વધુ વ્યક્તિઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.
છેલ્લા પાંચ મહિના અને 25 દિવસમાં બનાસકાંઠા પોલીસે નશીલા પદાર્થોના 66 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. જિલ્લામાં નશા વિરોધી અભિયાન હજુ પણ સતત ચાલુ છે.

