બિરસા મુંડાનું વિરાટ 'માનવ' ચિત્ર, તાપીના વ્યારામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ભવ્ય ઉજવણી
વ્યારામાં માનવ સાંકળ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ રચવામાં આવી હતી. રાજ્યમાં સૌપ્રથમવાર બિરસા મુંડાની આ પ્રકારની માનવ સાંકળ દ્વારા એક જીવંત ચિત્ર રચાયું છે.

Published : November 14, 2025 at 9:26 AM IST
|Updated : November 14, 2025 at 10:06 AM IST
તાપી: તાપી જિલ્લાના વ્યારામાં એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત વ્યારામાં માનવ સાંકળ દ્વારા બિરસા મુંડાની પ્રતિકૃતિ રચવામાં આવી હતી. રાજ્યમાં સૌપ્રથમવાર બિરસા મુંડાની આ પ્રકારની માનવ સાંકળ દ્વારા એક જીવંત ચિત્ર રચાયું છે.
તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે લગભગ એક હજાર શાળાના બાળકો દ્વારા બિરસા મુંડાની પ્રતિકૃતિ સ્વરૂપે એક વિશાળ માનવ સાંકળ રચી હતી. આ માનવ સાંકળ દ્વારા માત્ર એક ચિત્ર નહીં પરંતુ એકતાનો અને આદિજાતિ ગૌરવનો એક જીવંત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન પ્રાયોજના કચેરી, સોનગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકો અને નાગરિકોએ એકસાથે મળીને આ પ્રતિકૃતિને પૂર્ણ સ્વરૂપ આપ્યું. આ દૃશ્યને જોનારા દરેકના ચહેરા પર ગૌરવ અને આશ્ચર્યની લાગણી છવાઈ ગઈ હતી.

ડ્રોન કેમેરાથી કેદ કરાયેલ આ પ્રતિકૃતિનું દૃશ્ય તો જાણે જીવંત ચિત્ર જેવું લાગતું હતું. આ પ્રતિકૃતિના ડિઝાઇનર અને ચિત્રકાર હીરાભાઈ પરદેશીએ પોતાની અનોખી કલા દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા માનવ સાંકળથી કેવી રીતે જીવંત કરી શકાય તે સાબિત કર્યું.

આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, બિરસા મુંડા ભારતના એવા મહાન નાયક હતા, જેમણે આદિજાતિ સમાજના હક્કો માટે અવિરત લડત આપી. તેમની વિચારધારા અને બલિદાન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. રાજ્ય સરકાર પણ આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકણી, જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ સહિત વહીવટી તંત્રના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ભગવાન બિરસમુંડાના બલિદાન વિશે અવગત કરાવ્યા હતા. વિધાર્થીઓને પણ આ પ્રસંગે આદિવાસી સમાજ અને તેમના બલિદાનો વિશે ભરપૂર માહિતી મળી હતી.
આ રીતે વ્યારાની ધરતી પર રચાયેલી આ અનોખી માનવ સાંકળે તાપી જિલ્લામાં ઇતિહાસ રચ્યો છે. આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાના આદર્શો અને જનજાતિ ગૌરવનો આ સંદેશ હવે સમગ્ર રાજ્યમાં પ્રેરણા બની રહ્યો છે.

