સોમનાથ સ્વાભિમાન પર્વ: PM મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા, આકાશમાં ભવ્ય ડ્રોન શો યોજાયો, PMએ ઉપાડ્યું ત્રિશૂળ

Published : January 10, 2026 at 6:10 PM IST
|Updated : January 10, 2026 at 8:56 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતનો આજથી પ્રારંભ થયો છે. તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સીધા સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ આગમન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં આજે રાત્રિ રોકાણ કરશે.
LIVE FEED
PM મોદીએ ત્રિશૂળ ઉપાડ્યું
સોમનાથના આકાશમાં ડ્રોન શોના કાર્યક્રમ બાદ PM મોદીએ ત્રિશૂળ ઉપાડ્યું હતું.
3000 ડ્રોન દ્વારા સોમનાથ ગાથા રજૂ કરતો ડ્રોન શો રજૂ કરાયો
સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથની ગાથા રજૂ કરતો ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. 3000 ડ્રોન વડે આ ડ્રોન શો યોજાયો હતો.
PM મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા
PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
PM મોદીએ સોમનાથના લોકોનો આભાર માન્યો
PM મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું- આપણી સભ્યતા હિંમતના ગૌરવપૂર્ણ પ્રતીક સોમનાથમાં આવીને મને ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે. આ મુલાકાત #SomnathSwabhimanParv દરમિયાન છે. પોસ્ટમાં તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે સોમનાથના લોકોનો આભાર માન્યો હતો.
પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક શરૂ
દેશના વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચી ગયા છે. જ્યાં VIP ગેસ્ટ હાઉસમાં તેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજવામાં આવી છે. આ યોજાયેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો મારફતે લાઈવ જોડાયા છે. આ સિવાય અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર છે.
સોમનાથમાં PM મોદીનો રોડ શો
સોમનાથમાં પહોંચતા PM મોદીની ઝલક માટે લોકો એકઠા થયા.
CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનું કર્યું સ્વાગત
વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
શું હશે PM મોદીનો કાર્યક્રમ?
આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લેશે. ત્યારબાદ તેઓ દિવસભર યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે આજે (10 જાન્યુઆરી) સાંજે સોમનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં આયોજિત ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ રૂપે સહભાગી બનશે. આ ઐતિહાસિક અવસરે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષામાં ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને અડગ સ્વાભિમાનનું પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાનની હાજરીને લઈ સમગ્ર સોમનાથ નગરી ઉત્સવમય બની ગઈ છે, જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.

