માંગરોળમાં કાળમુખો માર્ગ: હથોડા-વેલાછા રોડ પર ટ્રકની અડફેટે દીપડાનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, દીપડો રાત્રિના સમયે જંગલ વિસ્તારમાંથી બહાર આવી હથોડા-વેલાછા રોડ ક્રોસ કરી રહ્યો હતો.

Published : June 11, 2026 at 5:56 PM IST
સુરત: સુરત જિલ્લાના માંગરોળ વિસ્તારમાં વન્યજીવો માટે સડક માર્ગો અસુરક્ષિત બની રહ્યા છે. ગત રાત્રિના સમયે હથોડા-વેલાછા રોડ પર શિકારની શોધમાં નીકળેલા એક દીપડાને પુરપાટ દોડતી ટ્રકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દીપડો રાત્રિના સમયે જંગલ વિસ્તારમાંથી બહાર આવી હથોડા-વેલાછા રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દીપડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.
અકસ્માત અંગેની જાણકારી સ્થાનિકોએ વન વિભાગને કરતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. માંગરોળ તાલુકાના RFO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અકસ્માતની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃત દીપડાનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
આ વિસ્તારમાં સતત વધી રહેલા વાહનોના અવરજવર અને જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારો કે સડક માર્ગો પર આવી જવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે વન વિભાગ અને તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા જોરદાર માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો:

