જૂનાગઢ : નવા રેલવે સ્ટેશન અને જમીન હસ્તાંતરણ મુદ્દે સમિતિની બેઠક, જુલાઈમાં શરુ થશે લોક જાગૃતિ આંદોલન
રેલવેના આંદોલન સાથે જોડાયેલા પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિએ રેલવે વિભાગ સમક્ષ આ બાબતનું સ્પષ્ટીકરણ થાય તેવી માંગ કરી છે.

Published : May 29, 2026 at 9:52 AM IST
જૂનાગઢ : ગઈ કાલે રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ શહેરમાંથી પસાર થતી મીટર ગેજ લાઈનનું રેલવે સ્ટેશન ગ્રોફેડ નજીક સ્થળાંતરિત કરવામા આવશે, તેવો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈનની જમીન કોર્પોરેશનને મળે અને નવા રેલ્વે સ્ટેશનના નિર્માણની કોઈ તારીખ રેલ્વે વિભાગ જાહેર કરે તેવી માંગ કરી છે.
જૂનાગઢવા રેલવે સ્ટેશનને લઈને કમિટીની મળી બેઠક
ગઈકાલે રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ શહેરના મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલ્વે લાઈનને દૂર કરીને ગાંધીગ્રામ વિસ્તારમાં ગ્રોફેડ નજીક ટ્રેનનું નવું રેલ્વે સ્ટેશન બનાવવાની વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે, ત્યારબાદ પ્લાસ્ટમા શાપુર રેલ જોડાણ સમિતિની એક બેઠક ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મળી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી રેલવે લાઇન પસાર થાય છે તે તમામ જમીન રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તાંતરિત કરવામાં આવે અને કોર્પોરેશન દ્વારા ચાર કિલોમીટર કરતાં વધારે જમીન પર માર્ગ પહોળા કરીને શહેરમાં થતી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી થઈ શકે તેવી માંગ કરી છે.
વધુમાં, રેલ્વે વિભાગ દ્વારા કાલે રેલ્વે સ્ટેશન નવું બનશે આવી સૈદ્ધાંતિક વાતનો સ્વીકાર કર્યો છે, પરંતુ રેલવે સ્ટેશન ક્યારે શરૂ થશે તેની કોઈ તારીખ કે મહિનો નિર્ધારિત કર્યો નથી. જેથી રેલવેના આંદોલન સાથે જોડાયેલા પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિએ રેલવે વિભાગ સમક્ષ આ બાબતનું સ્પષ્ટીકરણ થાય તેવી માંગ કરી છે.

જુલાઈ મહિનામાં લોક જાગૃતિ માટે આંદોલન
આજથી એકાદ વર્ષ પૂર્વે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન દૂર થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી ધોરણે સમાધાન થાય તે માટે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10000 કરતાં વધારે લોકોની સહી સાથેનો એક આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રીને પણ મોકલવામાં આવ્યું હતું. રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ જૂનાગઢ શહેરના ફાટકોનો મુદ્દો ઊભો કર્યો હતો. ત્યારબાદ આ નિરાકરણ આવ્યું છે, પરંતુ રેલ્વે દ્વારા કોઈ ચોક્કસ તારીખ કે સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો નથી. જેથી આગામી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આ જ પ્રકારે જૂનાગઢ શહેરના લોકોનો જનમત એકત્ર કરવા માટે નવા સહી અભિયાનની શરૂઆત થશે. જેમાં રેલ્વે વિભાગ દ્વારા આ જમીન કોર્પોરેશનને હસ્તાંતરિત કરવામાં આવે અને રેલવે સ્ટેશન નવું લોક ઉપયોગી ક્યારે બનશે તેની કોઈ નિર્ધારિત સમય સીમા નક્કી કરે તે માટેની માંગણી પણ આ સહી ઝુંબેશમાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો...

