જુનાગઢનું ભવનાથ ભિક્ષા મુક્ત થયું, તળેટીમાં ભિક્ષા માગવી અને આપવી એ ગણાશે અપરાધ
જિલ્લા બાળ સુરક્ષા એકમના ચેરમેન અને કલેક્ટર દ્વારા ભવનાથ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવી અને ભિક્ષા આપવી આ પ્રવૃત્તિને બંધ કરાવી છે.

Published : February 28, 2026 at 5:25 PM IST
|Updated : February 28, 2026 at 6:25 PM IST
જુનાગઢ : ભવનાથ તળેટી અને સમગ્ર ભવનાથ ક્ષેત્ર ભિક્ષા મુક્ત ક્ષેત્ર જાહેર કરાયું છે. અહીં આવેલા તમામ ધાર્મિક સ્થળો ખાસ કરીને ભવનાથ મંદિર અને દામોદર કુંડ નજીક ખૂબ મોટી સંખ્યામાં ભિક્ષુકો તેના નાના બાળકો અને પરિવાર સાથે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. જેને ધ્યાને લઈને જિલ્લા બાળ સુરક્ષા એકમના ચેરમેન અને કલેક્ટર દ્વારા ભવનાથ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવી અને ભિક્ષા આપવી આ પ્રવૃત્તિને બંધ કરાવી છે.
ભવનાથ ભિક્ષા વૃત્તિથી મુક્ત કરાયું
ભવનાથ ક્ષેત્ર હવેથી ભિક્ષાવૃત્તિ મુક્ત ક્ષેત્ર બન્યું છે. ભવનાથમાં આવેલા તમામ ધાર્મિક સ્થળો અને મંદિરો તેમજ આશ્રમમાં ભિક્ષાવૃત્તિ કરનાર બાળકો તેના માતા-પિતા અને સમગ્ર પરિવારના સભ્યો ધર્મસ્થાનોમાં આવતા યાત્રાળુઓ અને ભાવિકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. જેને કારણે દામોદર કુંડ અને ભવનાથ મંદિર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં ભિક્ષુકો તેના પરિવાર અને નાના બાળકો સાથે ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હતા.
જેને ધ્યાને રાખીને જિલ્લા બાળ સુરક્ષા એકમના ચેરમેન અને જિલ્લા કલેકટર દ્વારા ભવનાથ વિસ્તારને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાની સૂચના આપી છે. જે અંતર્ગત ભવનાથના દામોદર કુંડ અને ભવનાથ મંદિરમાં તેમજ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિ ભિક્ષાવૃત્તિ ન કરી શકે તેમજ અહીં આવતો કોઈપણ વ્યક્તિ ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન આપે તે પ્રકારની એક પણ ગતિવિધિ ન કરી શકે તેવી સૂચના અધિકારીઓને આપી છે.

ભિક્ષા લેવી અને દેવી બંને કાયદામાં ગુનો
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. સી. મહિડાએ ETV ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે ભિક્ષાવૃત્તિ અને ખાસ કરીને બાળ ભિક્ષાવૃત્તિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકોને તેમના માતા-પિતા કે તેના પરિવારના અન્ય લોકો દ્વારા ભિક્ષા વૃતિમાં ધકેલાતા હોય છે. આવી ગતિવિધિ બંધ થાય તે માટે તેમનો વિભાગ પણ સતત કાર્યવાહી કરી રહ્યો છે.

આ વર્ષમાં અત્યાર સુધીમાં 8 જેટલા બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરીને તેને કાઉન્સિલિંગ કરીને શાળાએ એડમિશન અપાવ્યું છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જે હુકમ ભિક્ષાવૃત્તિને લઈને ભવનાથ ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે, તેને કારણે હાલ ભવનાથમાં આવેલા તમામ ધાર્મિક સ્થાનો જેમાં દામોદર કુંડ અને ભવનાથ મંદિરનો સમાવેશ થાય છે, તે ભિક્ષુકો મુક્ત બન્યું છે.
આ પણ વાંચો...

