જામનગરમાં હાઈટેક ‘PM ઈ-બસ’ સેવાનો પ્રારંભ, પ્રાથમિક તબક્કે 5 રૂટ પર 14 બસ દોડશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 'PM ઇ-બસ સેવા'નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

Published : June 16, 2026 at 10:44 AM IST
જામનગર: જામનગરના નાગરિકો માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 'PM ઇ-બસ સેવા'નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીનતમ ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થતા જામનગરવાસીઓને પ્રદૂષણ મુક્ત, આરામદાયક અને સસ્તી મુસાફરીનો લાભ મળશે.
જામનગરમાં PM ઇ-બસ સેવાનો પ્રારંભ
આ પ્રોજેક્ટના સફળ સંચાલન અને પરિવહન વ્યવસ્થા માટે ખાસ ‘જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન’ SPV (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે.
શહેરીજનોની સુવિધા માટે પ્રાથમિક તબક્કા અંતર્ગત 25 અત્યાધુનિક ઈ-બસ લોન્ચ કરવામાં આવી છે. હાલના તબક્કે આમાંથી 14 બસોને શહેરના મુખ્ય 5 રૂટ પર દોડાવવામાં આવશે, જેથી મુસાફરોને નિયમિત અંતરે બસ સેવા મળી રહે. તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, આગામી ટૂંક સમયમાં જ બીજી વધારાની 25 ઈ-બસ પણ ફાળવવામાં આવશે, જેથી ભવિષ્યમાં રૂટ અને બસોની સંખ્યા વધારીને સમગ્ર શહેરને આવરી લેવાશે.
હાઈટેક સુવિધાઓથી સજ્જ છે સ્માર્ટ બસ
આ નવી ઇલેક્ટ્રિક બસો માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે:
સુરક્ષા અને દેખરેખ: બસમાં સુરક્ષાના હેતુથી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
મુસાફરી આરામદાયક: ઉનાળાની ગરમીમાં પણ ઠંડક આપતી સેન્ટ્રલાઈઝ્ડ AC સિસ્ટમ.
ટ્રેકિંગ સિસ્ટમ: બસના લાઈવ લોકેશન માટે GPS સિસ્ટમ કાર્યરત છે.
ડિજિટલ પેમેન્ટ: ટિકિટ પ્રક્રિયાને સરળ બનાવવા ઓટોમેટિક ફેર કલેક્શન (સ્માર્ટ ટિકિટિંગ)ની સુવિધા.
હાપા ખાતે વિશાળ ચાર્જિંગ સ્ટેશન અને કન્સેશન પાસની વ્યવસ્થા
ઈ-બસોના અવિરત સંચાલન અને સમયસર ચાર્જિંગ માટે હાપા વિસ્તારમાં એક વિશાળ અને અત્યાધુનિક ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમાજના દરેક વર્ગને આ સેવાનો લાભ મળે તે માટે ખાસ રાહત દરના પાસની સુવિધા ઉભી કરાઈ છે. વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ) આ પાસ સેવાનો લાભ મેળવીને ખૂબ જ નજીવા દરે મુસાફરી કરી શકશે.
"રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શહેરી પરિવહનને ગ્રીન એનર્જી તરફ લઇ જવા કટિબદ્ધ છે. જામનગરમાં શરૂ થયેલી આ ઇ-બસ સેવા પ્રદૂષણ ઘટાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે અને નાગરિકોને ઇકો-ફ્રેન્ડલી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપશે." અર્જુન મોઢવાડિયા, મંત્રી
જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન હેઠળ બસોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 5 રૂટ પર 14 બસ નિયમિત ચાલશે. આગામી દિવસોમાં બાકીની બસો આવતા જ રૂટ લંબાવવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે પાસની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવાઇ છે."
આ પણ વાંચો:

