ETV Bharat / state

રથયાત્રા 2026: ભગવાન જગન્નાથના વાઘા માટે 4 શહેરોથી આવે છે કાપડ, 23 વર્ષથી આ અમદાવાદી બનાવી રહ્યા છે વાઘા

આ વર્ષે ભગવાન જગન્નાથ શાંતિના પ્રતીક સમા બેબી પિંક ગુલાબી ડ્રેસમાં સજ્જ થશે, જેમાં રેશમની દોરી અને બારીક નકશીકામ કરાયું છે.

રથયાત્રામાં ભગવાન જગન્નાથ કેવા વાઘા પહેરશે?
રથયાત્રામાં ભગવાન જગન્નાથ કેવા વાઘા પહેરશે? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 5:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: 16મી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મંદિર, પ્રશાસન અને ભક્તો દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૌના મનમાં એક જ સવાલ છે કે આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન કેવા વાઘા ધારણ કરશે, એની વિશેષતા શું છે અને આ વાઘા કોણ બનાવે છે? ચાલો જાણીએ.

ભગવાન જગન્નાથની રથયાત્રા નજીક આવી રહી છે. દર વર્ષે ભગવાન નવી થીમ અને ડિઝાઇન સાથે વાઘા (કપડાં) પહેરીને રસ્તાઓ પર નીકળે છે. આ વર્ષે ભગવાન માટે કુલ સાત જોડી ખાસ કપડાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. કપડાં માટેનું ફેબ્રિક અને ભરતકામ મથુરા અને વૃંદાવનમાંથી પસંદ કરવામાં આવ્યું છે.

ભગવાનના વાઘા બનાવનાર શું કહે છે (Etv Bharat Gujarat)

શાહપુર મોઢવાળાની પોળમાં રહેતા દરજી સુનિલભાઈ 23 વર્ષથી ચાલતી પરંપરા અનુસાર આ વાઘા તૈયાર કરી રહ્યા છે. ભગવાન અમાસ, એકમ, મંગળા આરતી અને રથ પર બેસતી વખતે કયા કપડાં પહેરશે તે અંગે સુનિલભાઈએ જણાવ્યું હતું કે, અખાત્રીજના દિવસથી વાઘા બનાવવાની શરૂઆત થઈ હતી. અમે વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલ મંગાવ્યા હતા. આ વખતે ભગવાનના વાઘા માટે કલકત્તા, બેંગલોર, વૃંદાવન અને સુરતથી કાપડ મંગાવવામાં આવ્યું હતું. અમે વિવિધ પ્રકારની છ જોડી કપડાં બનાવ્યાં છે. તેમાં ખાસ કરીને ગોટા-પટ્ટી વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક અને વેલવેટ કાપડ પર મિરર વર્ક કરવામાં આવ્યું છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના વાઘા બનાવવામાં આવે છે. આ વખતે અમાસના દિવસે ભગવાન મિરર વર્ક બોર્ડરવાળા કાપડ ધારણ કરશે. અમને આ કપડાં બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે, એટલે અમે બહુ જ ખુશ છીએ.

આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન કેવા વાઘા ધારણ કરશે, એની વિશેષતા શું છે અને આ વાઘા કોણ બનાવે છે? (Etv Bharat Gujarat)

સુનિલભાઈએ પોતાની યાત્રા વિશે જણાવતાં કહ્યું, “હું છેલ્લા 23 વર્ષથી વાઘા બનાવું છું. મારા પહેલાં પુષ્પાબેન વાઘા બનાવતાં હતાં. પુષ્પાબેન પછી મહારાજશ્રીએ મને બોલાવ્યો. મેં ભગવાન માટે પાઘડી બનાવી હતી, જે જોઈને મહારાજશ્રી ખૂબ ખુશ થઈ ગયા અને ભગવાનની શોભા પણ વધી ગઈ. એ પછીથી છેલ્લા 23 વર્ષથી મને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.” 23 વર્ષ દરમિયાન ઘણી કસોટીઓ પણ થઈ. 2016માં તેમનો અકસ્માત થઈ ગયો હતો. ત્યારે એમ લાગ્યું હતું કે આ વર્ષે વાઘા નહીં બનાવી શકાય, પરંતુ 2016માં અધિક મહિનો આવ્યો, જેના કારણે એક મહિનાનો આરામ કરવાનો સમય મળી ગયો. તે સમયે પણ તેમના હાથના વાઘા બન્યા. સુનિલભાઈ કહે છે, “એ અમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. એ સમયને યાદ કરીને પણ હું ગર્વ અનુભવું છું.”

આ વર્ષની વિશેષતા જણાવતાં તેમણે કહ્યું કે ભગવાન બેબી પિંક એટલે કે ગુલાબી રંગના ડ્રેસ પહેરશે, જે શાંતિનું પ્રતીક છે. આ વાઘામાં રેશમની દોરી અને બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. ભગવાન અમાવસ્યા, એકમ, મંગળા આરતી અને રથ પર બેસતી વખતે અલગ-અલગ કપડાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ વખતની પાઘડીની વિશેષતા વર્ણવતાં સુનિલભાઈએ જણાવ્યું કે આ વર્ષે ભગવાન સાત ચોઘાવાળી પાઘડી પહેરશે, જે પહેરીને તેઓ ભક્તોને મોહી લેશે. ભગવાનને પહેરાવવા માટે બેંગ્લોરથી ખાસ જ્વેલરી પણ મંગાવવામાં આવી છે. હવે સૌ કોઈ આતુરતાથી રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો...

  1. અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા સમાપ્ત, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
  2. અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂંક