સુરતમાં ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવાર ભરઊંઘમાં હતો અને સગીરાએ જીવન ટૂંકાવ્યું
ડિંડોલી વિસ્તારમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Published : January 2, 2026 at 8:53 PM IST
સુરત: હીરાનગરી સુરતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ડિંડોલી વિસ્તારમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય તરુણીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જ્યારે પરિવાર ઘોર નિદ્રામાં હતો, ત્યારે દીકરીએ ભરેલા આ અંતિમ પગલાએ અનેક સવાલો ઊભા કર્યા છે.
શું પરીક્ષાનું દબાણ કારણભૂત?
મળતી માહિતી મુજબ, આશાસ્પદ વિદ્યાર્થીની ધોરણ-12 સાયન્સ જેવા મહત્વના શૈક્ષણિક પડાવ પર હતી. જ્યારે ઘરના સભ્યો સૂતા હતા, ત્યારે તેણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડિંડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપઘાત પાછળના કારણો શોધવા તપાસ તેજ કરી છે.
સરકાર હરકતમાં: હવે દરેક 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલર અનિવાર્ય
રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે શિક્ષણ વિભાગે હવે 'એક્શન મોડ'માં આવી કડક ગાઈડલાઈન જાહેર કરી છે:
મેન્ટલ હેલ્થ પોલિસી: હવે દરેક સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસિસ માટે માનસિક સ્વાસ્થ્ય પોલિસી બનાવવી ફરજિયાત છે.
કાઉન્સેલરની નિમણૂક: નવી ગાઈડલાઈન મુજબ, પ્રત્યેક 100 વિદ્યાર્થી દીઠ એક પ્રોફેશનલ કાઉન્સેલર રાખવો પડશે.
રેફરલ સિસ્ટમ: નાની સંસ્થાઓએ બહારના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે જોડાણ કરવું પડશે જેથી જરૂર પડે ત્યારે વિદ્યાર્થીને તુરંત મદદ મળી રહે.
ગોપનીયતા: પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર વધતા માનસિક ભારને હળવો કરવા 'ગુપ્ત' કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે.
મૃતક વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, સવારે ઉઠ્યા ત્યારે બધુ નોર્મલ હતું. જે પણ સમસ્યા હોય તે બાળકોએ માતા-પિતાને જણાવવી જોઈએ, મારા જ નહીં કોઈપણ બાળક હોય, કે અમને આ સમસ્યા છે ત્યારે જ માતા-પિતા તેનો ઉકેલ શોધી શકે છે. તેણે કંઈ જણાવ્યું જ નથી. તે 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી તે કહેતી હતી કે મારે ડોક્ટર બનવું છે. ઘટના ક્યારે ઘટી તે ખબર નથી પણ અમે સવારે 5.30 વાગ્યે જોયું.
આ પણ વાંચો:

