અમદાવાદમાં આ વર્ષે 101 સ્થળે વૈદિક હોળી દહન થશે, પાંજરાપોળમાં રાખેલા ઢોરથી AMC કેવી રીતે થશે કમાણી?
વર્ષ 2024થી અમદાવાદ શહેરમાં વૈદિક હોળીની શરૂઆત કરવામાં આવી હતી. અને 2024માં 11 સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

Published : February 24, 2026 at 6:20 PM IST
અમદાવાદ: અમદાવાદ શહેરમાં હોળીનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે અને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળી દહનને લઈને શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વૈદિક હોળી અંગે પહેલ કરવામાં આવી છે અને આ વર્ષે અમદાવાદ શહેરના 101 સ્થળો પર વૈદિક હોળી દહન કરવામાં આવશે.
CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાંથી રખડતા પશુઓને પકડીને અમદાવાદના દાણીલીમડામાં આવેલા કરુણા મંદિરમાં રાખવામાં આવે છે. આ કરુણા મંદિરમાં 1090 જેટલા પશુઓ છે. આ પશુઓનું દૈનિક ધોરણે ચાલીસ કિલોથી વધારે છાણ જનરેટ થાય છે. પહેલા આ છાણ કચરા તરીકે વેસ્ટમાં જતું હતું. પરંતુ હવે આ છાણનો ઉપયોગ છાણા બનાવવા માટે અને સ્ટીક બનાવવા માટે થઈ રહ્યો છે અને એનો વૈદિક હોળી માટે ઉપયોગ કરવામાં આવશે. વર્ષ 2024થી અમદાવાદ શહેરમાં વૈદિક હોળીની શરૂઆત કરવામાં આવી હતી. અને 2024માં 11 સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી, 2025 માં 42 જેટલા સ્થળો પર વૈદિક હોળી થઈ હતી. ત્યારે આ વર્ષે 101થી વધારે જગ્યા ઉપર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવશે. તે માટે સ્ટીક અને ઉપલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને એને બોક્સમાં ભરીને રાખવામાં આવશે. અને જે લોકોને આની જરૂર હશે એની પાસે પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તેમણે વધુ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે હોળી દહનમાં 600 થી 800 કિલો સુધી લાકડાનો ઉપયોગ થતો હોય છે. આ લાકડાનો વપરાશ ઘટાડી વૃક્ષો ઓછા કપાય અને પર્યાવરણની જાળવણી થાય તે શુભ ઉદ્દેશ સાથે આ વૈદિક હોળીની શરૂઆત સીએનસીડી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પૈકીનો 80 કિલો જથ્થો સ્ટીક તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. તેને ખરીદવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એપમાં 2500 રૂપિયા ભરીને સીએનસીડી વિભાગને મોકલવાનું રહેશે. અને હોળીના બે દિવસ પહેલા તે જગ્યાએ પહોંચાડવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આ વખતની હોળીમાં એક નવતર પહેલે એવી કરવામાં આવી છે કે જ્યારે વૈદિક હોળી દહન કરવામાં આવે ત્યારે છેલ્લે એની રાખ બચે છે. આ રાખનો પણ ખૂબ સારો ઉપયોગ કરવામાં આવે. આ રાખમાંથી ઓર્ગેનિક સાબુ બનાવવામાં આવશે. તે દિશામાં પણ એક પાયલોટ પ્રોજેક્ટ કરવા માટે વિચાર્યું છે.
ગ્રીન વેસ્ટના કચરાના પ્રોસેસિંગ માટે Reduce, Reuse, Recycle, Resource અને Repurpose Energy નો કોન્સેપ્ટ, “Circular Economy” નો કોન્સેપ્ટ તથા “Net Zero Cell” ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. લોકલ ફોર વોકલ અભિયાન હેઠળ છાણમાંથી રિસોર્સ અને એનર્જી, રીયુઝ સ્વર્ણિમ સ્ટાર્ટઅપના અંતર્ગત MSMEના નાના ઉદ્યોગ સાહસિકો દ્વારા ગાયના છાણનો ઉપયોગ કરી ટીકી અને સ્ટીક સહિતના વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે.

આ ઉપરાંત છાણમાંથી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. દૈનિક જનરેટ થતા છાણને મુનિ. કોર્પોરેશનની ગૌશાળા સાઇટ પર ખાતર બનાવી સંગ્રહ કરવામાં આવે છે અને પ્રક્રિયા બાદ તૈયાર ખાતરનો ઉપયોગ મુનિ. કોર્પોરેશનના 250 જેટલા ગાર્ડનમાં રોપા ઉછેર, નર્સરી તથા સોઇલ એનરિચર તરીકે થાય છે. છાણમાંથી ખાતર, કોડીયા, કુંડા, ઓર્ગેનિક મટીરીયલ, સોઇલ એનરિચર, બાયોગેસ તથા ગેસ જનરેટ કરી રોટી બનાવવાની પ્રવૃત્તિઓ થાય છે. છાણા અને કોડીયા માટે વિવિધ ધાર્મિક સંસ્થાઓ તથા વિવિધ મોટી સંસ્થાઓ પાસેથી વપરાશ જથ્થાની ઇન્કવાયરી મંગાવવામાં આવી છે. છાણા અને સ્ટીકનો કોમર્શિયલ જગ્યાઓ તથા અન્ય બળતણના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, છાણમાંથી બનતા એકમો દ્વારા ખાતરનો ઉપયોગ છાણમાંથી બનાવાતા કુંડા વગેરે નર્સરીમાં માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ અંગે ગ્રાહક પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, આ વખતે અમે વૈદિક હોળી મનાવીશું. આ અંગે કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર મેં જોયું હતું કે વૈદિક હોળી મનાવવામાં આવશે. 2500 રૂપિયા ભરીને આ સ્ટીક મંગાવી છે. એ લોકો અમારી સોસાયટીમાં હોળી દહન પહેલા અને મોકલી દેશે. અમે પર્યાવરણનું જતન કરીને હોળી દહન કરીશું.

તો બીજા ગ્રાહક હર્ષભાઈએ જણાવ્યું હતું કે, હું ઉદય વિહાર સોસાયટીમાં રહું છું. મને વૈદિક હોળી અંગે ખબર પડી ત્યારે હું અહીંયા જોવા માટે આવ્યો અને ઉપલા અને સ્ટીક છાણનું જોયું. જે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા છે. એનો ઉપયોગ અમે હોળીમાં કરીશું. અમારી સોસાયટીમાં લઈ જઈશું અને બીજાને પણ આનો ઉપયોગ કરવા માટે વિનંતી કરીશું. લોકો આ વસ્તુઓને ઉપયોગ કરે કે જેથી પર્યાવરણનું નુકસાન ના થાય વૃક્ષો બચે.
આ પણ વાંચો:

