મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ભારે આવક: 5 જાન્યુઆરી સુધી નવી આવક પર પ્રતિબંધ
હાલ યાર્ડમાં લાલ ડુંગળીના અંદાજે 40,973 કટ્ટા (ગુણી)નો ભરાવો છે.

Published : January 3, 2026 at 12:18 PM IST
ભાવનગર: સૌરાષ્ટ્રના મહત્વના માર્કેટિંગ યાર્ડ તરીકે ઓળખાતા મહુવા APMCમાં લાલ ડુંગળીની મબલખ આવકને કારણે યાર્ડમાં ભારે ભરાવો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને APMC તંત્રએ આગામી 5 જાન્યુઆરી સુધી લાલ ડુંગળીની નવી આવક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
મહુવા યાર્ડમાં સ્થાનિક તેમજ ભાવનગર, અમરેલી અને ઉના વિસ્તારના ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે લાવે છે. દરરોજ હજારો મણ ડુંગળીની આવક થતી હોવાથી યાર્ડની ક્ષમતા કરતાં વધુ સ્ટોક થઈ ગયો છે. APMCના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ સત્તાવાર સૂચના જારી કરતાં જણાવ્યું હતું કે, યાર્ડમાં જગ્યાની અછતને કારણે ખેડૂતોએ હાલ પોતાની ડુંગળી વેચવા લાવવી નહીં.
ઉલ્લેખનીય છે કે, હાલ યાર્ડમાં લાલ ડુંગળીના અંદાજે 40,973 કટ્ટા (ગુણી)નો ભરાવો છે. ભાવની વાત કરીએ તો હાલ ડુંગળીનો સરેરાશ ભાવ રૂ. 120ની આસપાસ બોલાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના ડુંગળીના મુખ્ય હબ તરીકે ઓળખાતા મહુવા APMCમાં મહુવા, અમરેલી અને ઉના વિસ્તારમાંથી ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતાં યાર્ડ હાઉસફુલ થઈ ગયું છે. સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીના જણાવ્યા અનુસાર, 40 હજારથી વધુ કટ્ટાના સ્ટોકને કારણે વ્યવસ્થા જાળવવા માટે 5 જાન્યુઆરી સુધી નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલના સ્ટોકનું વેચાણ પૂર્ણ થયા બાદ જ નવી આવકને મંજૂરી આપવામાં આવશે.
મહુવા APMC સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં મહુવા, ભાવનગર, અમરેલી અને ઉનાના ખેડૂતો ખાસ કરીને ડુંગળી વેચવા આવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળી માટેનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. લાલ ડુંગળીનો અચાનક ભરાવો થતાં APMCએ ખેડૂતોને તાકીદ કરી છે કે 5 જાન્યુઆરી સુધી ડુંગળી વેચવા ન લાવે.
આ પણ વાંચો:

