અમરેલી–ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ભયાનક અકસ્માત, 8 ઈજાગ્રસ્ત
રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક જઈ રહેલી એક ઓટો રિક્ષામાં અચાનક બ્રેક ફેલ થતા રિક્ષા નિયંત્રણ ગુમાવી પલ્ટી મારી ગઈ

Published : February 19, 2026 at 5:21 PM IST
ભાવનગર: અમરેલી–ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક જઈ રહેલી એક ઓટો રિક્ષામાં અચાનક બ્રેક ફેલ થતા રિક્ષા નિયંત્રણ ગુમાવી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા કરી હતી. તમામ ઈજાગ્રસ્તો શિયાળબેટ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને કામના હેતુસર રાજુલા આવ્યા હતા.
ઘટનાની જાણ મળતાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ત્રણ લોકો ગંભીર જણાતા તે ઘાયલો ને સાવરકુંડલા રાજુલા અને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા જોકે 108 દ્વારા મળેલી સમયસર મળેલી સારવારને કારણે તમામ ઘાયલોના જીવ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
108 એમ્બ્યુલન્સના અધિકારી અમાનત અલી નકવીએ જણાવ્યું હતું કે, 'અમને અકસ્માતનો મેસેજ મળતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ રવાના કરી હતી. ઘટનાસ્થળે પહોંચી તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.' અકસ્માતની ઘટના બાદ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બ્રેક ફેલ થવાની શક્યતા સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સર્વિસ રોડ પર વાહનોની સલામતી અને નિયમિત ચેકિંગ અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:

