છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ, ભંગોરિયાના મેળાનો વિધિવત પ્રારંભ
છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે. હોળીના સાત દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ છવાઈ જતો હોય છે.

Published : February 26, 2026 at 8:21 PM IST
છોટાઉદેપુર: મેળાનું નામ આવે એટલે માનસ પટ પર ચકડોળ, અવનવી રાઈડ્સ, ખાણી-પીણી અને મોજ મસ્તી ઉપસી આવે. પરંતુ ગુજરાતના આદિવાસી પંથકમાં કેટલાક મેળા એવા પણ ભરાઈ છે, જેમાં ચકડોળ કે રાઈડ્સ જેવી કોઈ વસ્ચુ હોતી નથી. આવા મેળા પોતાની આસ્થા, પરંપરા અને રીતિ-રિવાજો સાથે જોડાયેલા હોય છે.
આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે. હોળીના સાત દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ છવાઈ જતો હોય છે. આ તહેવારના ભાગરૂપે યોજાતા 'ભંગોરિયાના મેળા' એ આદિવાસી સમાજની અભિન્ન પરંપરા બની ગઈ છે. જ્યાં સાપ્તાહિક હાટ ભરાઈ છે, અને હોળીના તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન કરવામાં છે, જેને ગ્રામજનો 'ભંગોરિયાના મેળા' તરીકે ઓળખે છે.
'ભંગોરિયાના મેળા'મા સહભાગી થવા માટે વતનથી દૂર રહેલા આદિવાસી સમાજના લોકો પણ આ તકે પોતાના માદરે વતનની વાટ પકડે છે, અને અદમ્ય ઉત્સાહ સાથે મેળાની મોજ સાથે પોતાની આગવી સંસ્કૃતિ અને મૂલ્યોને અનુસરીને આદીવાસી પરંપરાને આગળ ધપાવે છે.

આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં રંગપુર સઢલી હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે સ્થાનિકો રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આસપાસના ગામોમાંથી આવેલી વિવિધ ટુકડીઓએ રામઢોલના ગુંજારવ સાથે માહોલને ઉત્સાહપૂર્ણ બનાવી દીધો હતો. રંગપુર સઢલી ગામે યોજાયેલા ભંગોરીયા મેળામાં પરંપરાગત વાદ્યો સાથે એકસમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાયે પોતાની પરંપરાને જીવંત રાખી છે.

ભાતીગળ પહેરવેશ સાથે આ મેળામાં આવેલા જુદાજુદા ગામની મહિલાઓ અને પુરૂષો આકર્ષણ કેન્દ્ર બન્યા હતા.ભંગોરિયાના મેળામાં આસ પાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરવા પણ આવ્યા હતા. ભંગોરીયા મેળામાં સ્થાનિક સમૂહ સાથે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ પણ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો.

આદિવાસીઓનો મુખ્ય ખોરાક અડદ
છોટાઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે અડદ, અડદને દરેક પૂજા વિધિમાં મુકવાની પરંપરા પણ રહી છે, લગ્ન, મરણ કે શુભ કાર્યોમાં પણ અડદનું સ્થાન અચૂક હોય છે, ત્યારે હોળી પૂર્વે દરેક ગામમાં હોળી માતાને અડદના પાપડ અર્પણ કરવાની પરંપરા પણ જોડાયેલી હોવાના લઈને દરેક ગામમાં દરેક ઘરે અડદના પાપડ બનાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે, અને પાપડ બનાવવા માટે હુડેલ નામની સામાજિક વ્યવસ્થા દ્વારા બનાવવામાં આવે છે.

હુંડેલ એટલે ક્ઠીન કાર્યોને પાર પાડવાની સામાજિક વ્યવસ્થા
સદીઓ જૂની પરંપરા મુજબ ગ્રામીણ વિસ્તારમાં મકાન બનાવવું હોય છે, ઈંટનું કામ હોય, ખેતી કામ હોય તો ગામના લોકો એક બીજાની મદદ કરવાની ભાવનાથી કામ કરે છે, જેનું મહેનતાણું આપવામાં આવતું નથી, ત્યારે હોળી પૂર્વે પાપડ બનાવવાના કામ માટે એક ઘરે પાપડ બનાવવા ગામની કે ફળિયાની મહિલા ભેગી ગામ પટેલ કે આગેવાનના ઘરે પાપડ બનાવવાની શરૂઆત કરે છે, અને ક્રમશ: એક બીજા ના ઘરે પાપડ બનાવવામાં આવે છે, જે બનાવેલા પાપડમાંથી પાંચ પાપડ હોળી માતાને અર્પણ કરવા અલગ મૂકી હોળીને અર્પણ કરવામાં આવે છે.
આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં લોકો માટે ઉત્સવો મનાવવા કે પરંપરાઓનું અનુસરણ કરવું પણ એક પડકારભર્યું છે, ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જેવા જિલ્લામાં આદિવાસીઓ સમુદાયના લોકો આજે પણ પોતાની વર્ષોથી ચાલી આવતી ઉત્સવોની પરંપરા, રીતિ-રિવાજો અને આસ્થાને અનુસરી રહ્યા છે.

