અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા, વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાના આરે
જૂન મહિનો પૂર્ણ થવા છતાં વરસાદ ન વરસતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે, પાણીના અભાવે કેટલાંક ખેડૂતોનો પાક નિષ્ફળ જવા ના આરે છે.

Published : June 30, 2026 at 2:41 PM IST
અરવલ્લી: જિલ્લામાં અગાઉ સારો વરસાદ થયો હતો, ત્યારે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર લઈને વાવેતર કર્યું હતું, પરંતુ જૂન મહિનો પૂર્ણ થવા છતાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતીમાં પાણીની જરૂર છે, અને જો ખરા સમયે પાણી ન મળે તો વાવેતર નિષ્ફળ જવા ના આરે છે.
ઉનાળામાં આકરી ગરમીના કારણે બોર કુવાના તળ પણ ખૂબ નીચા ગયેલા છે ત્યારે વરસાદ એક માત્ર ઉપાય છે ,વરસાદ આવે તો જ ખેતી પાક બચી શકે એમ છે, જેથી ખેડૂતો ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ કપાસ સહિતના ખરીફ પાકોની વાવણી કરી, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાઈ જતાં વાવેતર કરેલો આ પાક સુકાવાની ભીતિ સર્જાઈ છે.અસહ્ય ગરમીને કારણે બિયારણ બગડવાની શક્યતા વધતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અરવલ્લી જિલ્લાના ખેડૂત શામળભાઈ પટેલ જણાવે છે કે, મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદી વાવણી કર્યા બાદ વરસાદ ન વરસતા ખેડૂતોને આર્થિક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.
જો ફરી વાવણી કરવાની સ્થિતિ સર્જાશે તો ખેડૂતો પર વધુ આર્થિક બોજ પડશે. ખેડૂતોએ સરકારને અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરાવી બિયારણમાં સબસિડી, વળતર અથવા આર્થિક સહાય આપવાની માંગ કરી છે, જેથી તેઓ ફરીથી ખેતી કરી શકે.

જેરિયાવાડા ગામમાં વરસાદ ખેંચાતા કપાસનો પાક સુકાવાની સ્થિતિ સર્જાઈ છે. મોંઘા ભાવે બિયારણ ખરીદી વાવણી કરનાર ખેડૂતોને હવે પાક બચાવવા માટે લોટે-લોટે પાણી આપવાની ફરજ પડી રહી છે. વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની આશંકા છે.

અરવલ્લી જિલ્લાના મહિલા ખેડૂત લતાબેન ગરાસિયાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું અને આ વર્ષે વરસાદના અભાવે કપાસનો પાક સુકાઈ રહ્યો છે. તેમણે સરકારને પાકનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.

