મહિલાઓની સુરક્ષા કે રાજકીય સ્ટન્ટ? લગ્ન નોંધણી સુધારા વિધેયક પર ઉભા થયા સવાલ
ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનાવવાના સંકેત આપ્યા છે.

Published : February 27, 2026 at 6:34 AM IST
કલ્પીન ત્રિવેદી, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારા લાવવાની સરકારની જાહેરાત બાદ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનાવવાના સંકેત આપ્યા છે. સરકારનો દાવો છે કે આ પગલું મહિલાઓના હિત અને કાનૂની સુરક્ષા માટે જરૂરી છે.
હાલ રાજ્યમાં ગુજરાત મેરેજ રજીસ્ટ્રેશન અધિનિયમ 2006 અમલમાં છે. આ કાયદા મુજબ લગ્ન નોંધણી ફરજિયાત છે અને વર-વધૂની ઉંમર, ઓળખ તથા સાક્ષીઓની વિગતો સાથે પ્રમાણપત્ર આપવામાં આવે છે. જુદા ધર્મ અથવા જાતિના લોકો માટે Special Marriage Act 1954 હેઠળ નાગરિક લગ્ન કરવાની જોગવાઈ છે, જે ઇન્ટરકાસ્ટ અને ઇન્ટરફેઇથ કપલ માટે કાનૂની સુરક્ષા આપે છે.
સરકાર સૂચિત સુધારામાં નોંધણી પ્રક્રિયા સમય મર્યાદિત અને ઓનલાઇન આધારિત બનાવવાનો વિચાર ધરાવે છે. ખોટી માહિતી આપનાર સામે કડક દંડ, તેમજ નાબાલિગ લગ્ન અટકાવવા વધુ સઘન ચકાસણી જેવી જોગવાઈઓ ઉમેરાઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી છેતરપીંડી અને ગેરકાયદેસર લગ્નોમાં ઘટાડો થશે.
અમદાવાદ-ગાંધીનગરમાં યુવાનોની પ્રતિક્રિયા
અમદાવાદ અને ગાંધીનગરના યુવાનોમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના યુવાન આશિષ પરમારે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું કે,લગ્ન નોંધણી ફરજિયાત હોવી સારી બાબત છે, પરંતુ જો પ્રક્રિયા વધુ જટિલ બનશે તો ઇન્ટરકાસ્ટ કપલ માટે મુશ્કેલી ઊભી થઈ શકે.
બીજી તરફ વિદ્યાર્થિની દર્શિતા જરદોશનું માનવું છે, જીવનસાથી પસંદ કરવાનો અધિકાર અમારો છે. કાયદો સુરક્ષા આપે, પરંતુ અનાવશ્યક દખલ ન કરે.
ગાંધીનગરના યુવાન ફેનિલ પટેલે રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે, અસમાજિક તત્વો નાની બહેન-દીકરીઓને ફોસલાવી લગ્ન કરતા હતા, તેના પર રોક લાગશે. અમે આ સુધારાને આવકારીએ છીએ.
કાયદા નિષ્ણાત અને સિનિયર એડવોકેટ ડૉ. રાજેન્દ્ર શુક્લાએ ETV ભારત સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, લગ્ન નોંધણી સંબંધિત મૂળ કાયદો કેન્દ્ર સરકારનો છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલું સુધારા વિધેયક ચોક્કસ સમુદાયને રાજી રાખવાનો નિષ્ફળ પ્રયાસ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે,લગ્ન નોંધણીની પ્રક્રિયામાં બ્રેક લાગી શકે, પરંતુ લગ્ન થવાનું ક્યારેય અટકશે નહીં. નોંધણી ઓછી થશે તો પણ લગ્ન અટકવાના નથી. જો કોઈ વ્યક્તિ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરશે તો આ વિધેયક રદ્દ થઈ શકે છે.
"સાદી ભાષામાં કહીએ તો લોકોનો ગુસ્સો અને લોકોની લાગણીને ઠંડી પાડવા ગેરરસ્તે દોરવાનો નિષ્ફળ પ્રયત્ન છે. લગ્નનો કાયદો એ કેન્દ્ર સરકારનો કાયદો છે. સ્પેશ્યલ મેરેજ એક્ટ, કેટલી ઊંમર હોવી જોઇએ, હિન્દૂ મેરેજ એક્ટ આ લોકોમાં કાયદાનો સુધારો કરવાની ક્ષમતા નથી, તેમનો વિષય અને અને અધિકાર નથી એટલે લગ્નની નોંધણીના કાયદાનો સુધારો કર્યો. લગ્ન તો થવાના પણ નોંધણી નહીં થાય." ડૉ. રાજેન્દ્ર શુકલા, સિનિયર એડવોકેટ અને કાયદા નિષ્ણાત
ડૉ. રાજેન્દ્ર શુક્લાએ Article 21 of the Constitution of Indiaનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર બંધારણ આપે છે અને રાજ્ય સરકાર બંધારણથી ઉપર નથી.
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. કામ્યાની માથુરે જણાવ્યું કે સમાજ સતત પરિવર્તનશીલ છે અને ઇન્ટરકાસ્ટ લગ્નોમાં વધારો યુવા પેઢીની નવી વિચારસરણી દર્શાવે છે. તેમના મત મુજબ કાયદાકીય સુધારા કરતી વખતે યુવાનોની સ્વતંત્રતા અને સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવું જરૂરી છે.
લગ્ન નોંધણી કાયદામાં સુધારા અંગે સરકાર સુરક્ષા અને પારદર્શિતાની દલીલ આપે છે, તો બીજી તરફ યુવાનો અને કાનૂની નિષ્ણાતો સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોની ચિંતા વ્યક્ત કરે છે. હવે જોવાનું રહેશે કે વિધાનસભામાં આવનાર અંતિમ વિધેયક શું સ્વરૂપ લે છે અને તે સામાજિક-કાનૂની સંતુલન કેવી રીતે સાધે છે.
આ પણ વાંચો:

