જંગલેશ્વર દબાણ કેસ: ગુજરાત હાઇકોર્ટેનો ડિમોલિશન પર સ્ટે આપવાનો ઇનકાર
બે ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે ડિમોલિશનની પ્રક્રિયા પર ત્રણ મહિનાનો સ્ટે લગાવ્યો હતો

Published : February 20, 2026 at 8:00 PM IST
રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. અરજદારો દ્વારા ડિમોલિશન પ્રક્રિયા પર તાત્કાલિક સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે વચગાળાની રાહત આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે તંત્ર દ્વારા ગમે ત્યારે ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, બે ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે પોતાની સુનાવણીમાં ડિમોલિશનની પ્રક્રિયા પર ત્રણ મહિનાનો સ્ટે લગાવ્યો હતો અને અરજદારોને રાહત આપી હતી. ત્યારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જ્યાં સુધી GRTમાં દાખલ અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન જેવી અપરિવર્તનીય કાર્યવાહી રોકવી જરૂરી છે.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, અરજદારો કોર્ટ સમક્ષ ખોટી અને અધૂરી માહિતી રજૂ કરી રહ્યા છે. સરકારનો દાવો હતો કે, સંબંધિત જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને નિયમ મુજબ નોટિસ તથા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય સરકારી વકીલ જી. એચ.વિર્કે કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા હકીકતો છુપાવીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે સમગ્ર કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવી રહી છે અને આવા કેસમાં ડિમોલિશન પર સ્ટે આપવો યોગ્ય નથી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે વચગાળાની કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના આ નિર્ણયથી હવે સ્થાનિક તંત્રને કાર્યવાહી માટે લીલી ઝંડી મળી ગઈ છે. હાલ, જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણ મામલો કાનૂની રીતે આગળ વધતો રહેશે, પરંતુ તાત્કાલિક રાહત ન મળતા અરજદારો માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:

