નર્મદા જિલ્લામાં બનશે 2 નવા પૂલ, મુખ્યમંત્રીએ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં 2 નવા પૂલોના નિર્માણ માટે કુલ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી છે.

Published : February 24, 2026 at 7:51 PM IST
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ₹123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ₹179.27 કરોડ મળીને નર્મદા જિલ્લામાં 2 નવા પૂલોના નિર્માણ માટે કુલ ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી છે.
આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ જ ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં રેંગણ-રામપુરા ઘાટ અને શહેરાવ-તિલકવાડા ઘાટને જોડતા બે બ્રિજના નિર્માણ માટે રૂ. 302.40 કરોડના કામોને મંજૂરી આપી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2026
આના લીધે 11 ગામોના 18,000 થી વધુ નાગરિકો અને… pic.twitter.com/SlnlCrf5HK
આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે.
આ ઉપરાંત, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પૂલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.

