Board Exam: ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ, આ વખતે 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે
ગત વર્ષની જેમ આ વર્ષે પણ “બેસ્ટ ઓફ 2” પદ્ધતિ અમલમાં રહેશે. વિદ્યાર્થી કોઈ વિષયનું પરિણામ સુધારવા ઇચ્છે તો જુલાઈ માસમાં ફરી પરીક્ષા આપી શકશે.

Published : February 24, 2026 at 4:46 PM IST
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વર્ષે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેને ધ્યાનમાં રાખીને પરીક્ષા વ્યવસ્થાને સુચારુ અને પારદર્શક બનાવવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની પસંદગી શાળાઓની સહમતીથી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ સુગમ બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી છે, તેથી માત્ર એક દિવસની ચિંતા કર્યા વગર પોતાની આખા વર્ષની તૈયારી પર વિશ્વાસ રાખીને પરીક્ષા આપવી જોઈએ. કોઈપણ પ્રકારના તાણ અથવા ભયમાં ન આવવા અને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ “બેસ્ટ ઓફ 2” પદ્ધતિ અમલમાં રહેશે. જો કોઈ વિદ્યાર્થી કોઈ વિષયનું પરિણામ સુધારવા ઇચ્છે તો જુલાઈ માસમાં પુનઃ પરીક્ષા આપવામાં આવશે. આ પુનઃ પરીક્ષા ‘ટ્રાયલ’ તરીકે ગણાશે નહીં અને વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની સંપૂર્ણ તક મળશે.
પરીક્ષા પ્રક્રિયા પારદર્શક રહે તે માટે રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગેરરીતિ અટકાવવા માટે તંત્ર કડક દેખરેખ રાખશે. વિદ્યાર્થીઓને પણ ગેરરીતિથી દૂર રહેવાની અને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. અંતમાં આર.આર. વ્યાસે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો તો ચોક્કસ સફળતા મળશે.
આ પણ વાંચો:

