અમરેલીના એ ગામની કહાની આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર વીજળી પહોંચી, વાંચો આ વિસ્તૃત અહેવાલમાં...
ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અમરેલીના સુડાવડ ગામે પહોંકયા વીજળી આવી એ ઘરોની મુલાકાત લીધી. સુડાવડવાસીઓએ હરખની લાગણી વ્યક્ત કરી.

Published : December 15, 2025 at 4:23 PM IST
|Updated : December 16, 2025 at 10:58 AM IST
અમરેલી: ભારત આઝાદ થયા પછીના 78 વર્ષ બાદ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામના વિસ્તારમાં વીજળી આવતા 70-75 વર્ષથી અંધકારમય ઘરોમાં ઉજાસ આવ્યો છે. આજદિન સુધી દીવા ફાનસ પર જીવતા ઘરોમાં રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાના પ્રયત્નોથી આ ઘરો સુધી પ્રકાશ પહોંચ્યો છે. ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ સુડાવડ ગામ પહોંચીને પ્રથમવાર અજવાળું ભાળેલા ઘરોની મુલાકાત લીધી તો સુડાવડવાસીઑની આંખોમાં હરખની લાગણી જોવા મળી હતી.
ઐતિહાસિક દિવસ: બગસરાના સુડાવડ ગામથી અંદાજે એક દોઢ કિલોમીટર દૂર આવેલા વાડ વિસ્તારમાં રહેતા 15 જેટલા પરિવારો માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. વર્ષોથી અંધકારમાં જીવન જીવતા આ પરિવારોના ઘરમાં આઝાદી પછી 78 વર્ષે વીજળી પહોંચી છે. લગભગ 70 થી 75 વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અત્યાર સુધી દીવા, ફાનસ અને સોલર લાઇટના સહારે જીવન વ્યતીત કરતાં હતાં. આજે જ્યારે તેમના ઘરમાં વીજળીના બલ્બનો ઉજાસ દેખાયો ત્યારે તેમના ચહેરા ઉપર અણમોલ ખુશી જોવા મળી હતી અને સોનાનો સૂરજ ઊગ્યો હોવાનો અહેસાસ સુડાવડવાસીઓએ કર્યો હતો.
અહીના વતની હરિભાઈ મકવાણાએ જણાવ્યું કે, "ગામથી એક કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં 15 પરિવારો વર્ષોથી વસવાટ કરે છે, પરંતુ અહીં રહેતા કોઈએ પોતાના ઘરમાં ક્યારેય વીજળી જોઈ નહોતી.અમે દીવા અને ફાનસના અજવાળે જીવન જીવતા હતા. સોલર લાઇટ રાખવી પડતી હતી. પરંતુ પૂરતો પ્રકાશ મળતો નહોતો. આજે 75 વર્ષ પછી અમારા ઘરે વીજળી આવી છે અને વીજળી આવતા હવે બાળકો રાત્રિના સમયમાં ઘરે બેઠા શાંતિથી અભ્યાસ કરી શકશે. આ વિસ્તાર વન્યપ્રાણીઓથી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો પરંતુ હવે વીજળીના અજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે. અમારા ઘરમાં આજે વીજળીનો દીવો દીવો પ્રગટ્યો છે, જાણે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા પૂર્ણ થઈ." સરપંચ સહિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો ગ્રામજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

સુડાવડ ગામના સરપંચ પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે, "ગામથી એક કિલોમીટર અંદર આવેલા આ વિસ્તારમાં છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી 15 પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો દીવાના સહારે જીવન જીવતા હતા. અહીં જ્યોતિગ્રામ યોજના કે નિયમિત લાઈટની સુવિધા નહોતી. પરંતુ છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરીને PGVCL તથા સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. દરખાસ્ત તૈયાર કરીને સતત ફોલોઅપ કરાયો, જેના પરિણામે આજે અહીં વીજળી પહોંચી છે. જ્યારે જુનાગઢ PGVCL ના કાર્યપાલક ઇજનેર કે.બી.પટેલ દ્વારા 15 ધરોમાં વીજજોડાણ આપી દીધું અને ડોક્યુમેન્ટેશનમાં સમય લાગ્યો એટલે જ્યોતિગ્રામ યોજનામાં મફત વીજળી આપી હોવાનું જણાવ્યું હતું." આવા વીજળી વિહોણા ઘરોમાં રોશની આપવા નવનિયુકત ઊર્જામંત્રી કૌશિક વેકરીયા પણ આવ્યા હતા અને સુડાવડવાસીઓએ સામૈયા કરીને મંત્રીને વધાવ્યા હતા.

Pgvcl વિભાગ દ્વારા જ્યોતિગ્રામના થાંભલાઓ નાખ્યા બાદ, વીજળી ઘરોમાં આવવાથી અંધારમાં જીવતા લોકોએ અંતરના આશીર્વાદ આપ્યા હતા. જે ઘરોમાં ફાનસ પ્રગટતા ત્યાં પંખાઓ, લાઇટ અને ટીવી શરૂ થવાની ખુશી વ્યક્ત કરતા ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ વિકાસની નવી કડી કંડારવાનું કાર્ય થયું હોવાનું ગણાવ્યું હતું, વીજળી વિહોણા પરિવારોને અંધારામાંથી ઉજાસ મેળવ્યા બાદ વર્ષોની વેદના આણંદમાં પરિવર્તિત થઈ હતી. સુડાવડના આ વાડ વિસ્તારમાં હવે ખરા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે.
આ પણ વાંચો:

