ભાવનગરમાં શ્વાન પ્રેમીઓએ રસ્તા પર ઉતરી વિરોધ કેમ નોંધાવ્યો, શું છે કારણ?
સુપ્રીમ કોર્ટ 7 જાન્યુઆરીએ દેશભરમાં રખડતા શ્વાનને રસ્તા પરથી ઉપાડીને શેલ્ટર હોમમાં મોકલવા અંગેના કેસની સુનાવણી કરશે.

Published : January 5, 2026 at 10:51 AM IST
ભાવનગર: સુપ્રીમ કોર્ટ 7 જાન્યુઆરીએ દેશભરમાં રખડતા શ્વાનને રસ્તા પરથી ઉપાડીને શેલ્ટર હોમમાં મોકલવા અંગેના કેસની સુનાવણી કરશે. દેશભરમાં પ્રાણી પ્રેમીઓ આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ભાવનગરમાં પણ શ્વાન પ્રેમીઓએ આતાભાઇ ચોકમાં વિરોધ કર્યો હતો અને તેમના પર થઇ રહેલા અત્યાચારનો અંત લાવવાની માંગ કરી હતી.
ભાવનગરમાં શ્વાનપ્રેમીઓએ નોંધાવ્યો વિરોધ
નેચર કન્ઝર્વેશન સોસાયટી ઓફ ભાવનગર દ્વારા આતાભાઇ ચોકમાં શ્વાન પર થઇ રહેલા અત્યાચારનો અંત લાવવાની માંગ કરી હતી. ભાવનગર નેચર કન્ઝર્વેશન સોસાયટીના સભ્યો અને શ્વાન પ્રેમીઓ દ્વારા શહેરના આતાભાઇ ચોકમાં જોગર્સ પાર્ક નજીક શ્વાનના સમર્થનમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઝુંબેશને અનેક લોકોએ ટેકો આપ્યો હતો.
વિવિધ બેનર સાથે શ્વાનપ્રેમીઓએ નોંધાવ્યો વિરોધ
ભાવનગરના આતાભાઇ ચોક ખાતે મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ ભેગા થયા હતા અને પ્લેકાર્ડ અને બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. શ્વાન પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટ તેના નિર્ણય પર સ્ટે નહીં આપે તો દેશભરમાં રખડતા શ્વાનના રક્ષણ માટે લડત ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. આ દરમિયાન શ્વાન પ્રેમીઓએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

"ઇન્ડિયા ફોર એનિમલ જે નેશનલ લેવલની ઝુંબેશ ચાલે છે તેનો ભાગ બનવા માટે ભાવનગરના એનિમલ લવર ભેગા થયા છે. 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના બધા શ્વાનને તેમના વાંક વગર શેલ્ટરમાં મોકલવાની જે વાત કરવામાં આવે છે તેનો વિરોધ કરીએ છીએ. આટલા બધા શેરીના શ્વાન જેમને કોઇનું કાંઇ બગાડ્યું નથી, તેમને જેલમાં પુરી દેવામાં આવે તેનો વિરોધ કરીયે છીએ." ડૉ.એસ.એચ.ધોળકીયા, શ્વાન પ્રેમી
આ પણ વાંચો:

