જામનગરમાં સરકારી જમીન પર કરેલું દબાણ તોડી પડાયું, ઈસ્કોન મંદિર નજીક 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ
આ મેગા ડ્રાઈવ અંતર્ગત અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીન પરથી તમામ નાના-મોટા ગેરકાયદેસર દબાણો કાયમી ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે.

Published : May 26, 2026 at 8:06 PM IST
જામનગર: જામનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા આજે ફરી એકવાર બુલડોઝર ફેરવીને દબાણ હટાવવાની મેગા ડીમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા પ્રખ્યાત ઇસ્કોન મંદિર નજીક કરોડોની કિંમતની સરકારી જમીનને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓથી મુક્ત કરાવવા તંત્રએ વહેલી સવારથી જ મોરચો સંભાળ્યો હતો.
ગરીબોના હકની જમીન પર ખડકાયું હતું કોમર્શિયલ બાંધકમ
મળતી વિગતો મુજબ, આ સરકારી જમીન મૂળભૂત રીતે શહેરી-ગરીબોના આવાસ અને તેમના ઉત્કર્ષ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ, કાયદાનો ડર રાખ્યા વિના કેટલાક તત્વો દ્વારા આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા કોમર્શિયલ બાંધકામો (દુકાનો અને શેડ) ખડકી દેવામાં આવ્યા હતા.
અગાઉ પણ જામનગર મનપા દ્વારા આ વિસ્તારમાં પ્રાથમિક કાર્યવાહી કરીને કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે સમયે બાકી રહેલા કેટલાક દબાણકર્તાઓએ તંત્ર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેઓ પોતાના ખર્ચે અને જાતે જ આ ગેરકાયદેસર બાંધકામ હટાવી લેશે. આ રજૂઆતને ધ્યાને રાખીને મનપાએ માનવતાવાદી અભિગમ અપનાવી 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
સમય મર્યાદા પૂર્ણ થતાં તંત્ર એક્શન મોડમાં
અલ્ટીમેટમની 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પણ જ્યારે દબાણો સંપૂર્ણપણે હટાવવામાં ન આવ્યા, ત્યારે મનપાની ધીરજ ખૂટી હતી. આજે સમય મર્યાદા પૂરી થતાં જ તંત્રએ આકરા તેવર બતાવ્યા હતા અને સવારથી જ વિશાળ મશીનરી સાથે ડીમોલિશનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ જમીનની અંદાજિત કિંમત 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

આ મેગા ડ્રાઈવ અંતર્ગત અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીન પરથી તમામ નાના-મોટા ગેરકાયદેસર દબાણો કાયમી ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે.
મનપાની વિવિધ પાંખો અને મશીનરી મેદાનમાં
આ ઓપરેશનને અંજામ આપવા માટે જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ એકસાથે મેદાનમાં ઉતરી હતી. જેમાં એસ્ટેટ વિભાગ અને સ્લમ શાખાના ઉચ્ચ અધિકારીઓ, કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, દબાણ તોડવા માટે અનેક જેસીબી (JCB), હિટાચી અને કાટમાળ ખસેડવા ટ્રેક્ટરો સહિતની ભારે મશીનરીઓ, હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

મનપાની આ કડક કાર્યવાહીથી જામનગરના ભૂમાફિયાઓ અને સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શાસકો અને વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી જમીન પરના કોઈ પણ દબાણો સાંખી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો:

