દાહોદમાં આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતો 'ઢોલ મેળો', 200 ઢોલિઓએ ભાગ લીધો
દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીના આદિવાસી સમાજના રીત રિવાજો અને પરંપરાઓ પણ અનોખી છે.

Published : February 28, 2026 at 9:31 PM IST
દાહોદ : આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા અને સંસ્કૃતિના જતન માટે આદિવાસી સમાજના પ્રતિક સમાન 'ઢોલ મેળા'નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઢોલીઓ ઉમટી પડ્યા હતા. દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીંના આદિવાસી સમાજના રીત રિવાજો અને પરંપરાઓ પણ અનોખી છે. આદિવાસી સમાજના વાજિંત્રો પણ નોખા જોવા મળે છે, ત્યારે આદિવાસી સમાજનું પૌરાણિક વાજિંત્રો એટ્લે ઢોલ માનવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ગામમાં કોઈ સંદેશ આપવો હોય તો ઢોલ વગાડીને અપાવમાં આવતો હતો. દુ:ખદ સમાચાર કે સુખના સમાચાર ઢોલના તાલ અલગ અલગ હોય તે પ્રમાણે ઢોલને વગાડતા જેથી ગામ લોકો સંદેશો સમજી જતાં, પરંતુ આજના આધુનિક યુગમાં નવી પેઢી પણ આદિવાસી સંસ્કૃતિ સમજે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્રારા છેલ્લા 18 વર્ષથી હોળી પૂર્વે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આજે દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ ગ્રાઉંડ ખાતે યોજાયેલા સાંસદ ઢોલ મેળામાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સહિતના આદિવાસી નેતાઑ તેમજ અધિકારીઓ પણ આદિવાસી પરંપરાગત વસ્ત્રો સાથે ઢોલ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ વગાડી તેમજ આદિવાસી નૃત્ય કરી ઢોલિઓનો ઉત્સાહ વધાર્યો હતો.

દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ ઢોલીઓ પોતાના ઢોલ સાથે મેળામાં જોડાતા હોય છે અને શ્રેષ્ઠ ઢોલીને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવે છે. આજના ઢોલમેળામાં 200 ઉપરાંત ઢોલિઓએ ભાગ લીધો હતો.

આજના આધુનિક યુગ પરંપરાગત વાજીંત્રો અને સંસ્કૃતિ લુપ્ત થતી જોવા મળી રહી છે, ત્યારે આદિવાસી સંસ્કૃતિ જીવંત રાખવા માટે આ પ્રકારે મેળા યોજવામાં આવે છે. જેથી આજની પેઢી સંસ્કૃતિને ઓળખે અને તેનું જતન કરે.
આ પણ વાંચો...

