દાહોદ: દેવગઢબારીયા પંથકમાં એક મહીલાએ ચાર સંતાનો સાથે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ત્રણના મોત
સ્થાનિકોને જાણ થતા તત્કાલિક બહાર કાઢી દેવગઢબારીયા ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા.

Published : April 16, 2026 at 8:26 PM IST
દાહોદ : જિલ્લાના દેવગઢબારીયા પંથકની એક મહીલાએ ઘરકાંકાસથી કંટાળી પોતાના ચાર સંતાન સાથે કુવામાં જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો હતો. સ્થાનિકોને જાણ થતા તત્કાલિક બહાર કાઢી દેવગઢબારીયા ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે એક પુત્રી અને બે પુત્રોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે માતા અને એક પુત્રી હાલ સારવાર હેઠળ છે.
ગામના અગ્રણી દીપસિંહ ભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામની મહિલાએ ચાર સંતાનો સાથે કુવામાં કૂદયા હતા. એ દૃશ્ય ગામની અન્ય એક મહિલાએ જોતા મને ફોન કરીને જાણ કરી હતી. જેથી મેં ગામના અન્ય યુવકોને ફોનથી જાણ કરી અને તમામ ત્યાં દોડી આવ્યા હતા. કૂવામાં કૂદીને મહિલા અને એક બાળકીને બચાવી લીધી હતી, અન્ય ત્રણ બાળકોને 108 મારફતે દેવગઢબારીયા લાવ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા."
લીમખેડા ડિવિઝનના ડીવાયએસપી મિત્તલ સાકરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલ મહીલા સારવાર હેઠળ છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે દેવગઢબારીયા પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો...

