દાહોદ: ફતેપુરામાં ગ્રાહકના બાઈક પાર્કિંગ મુદ્દે પિતરાઈ ભાઈઓમાં બબાલ, એક ભાઈનું મોત
ઘડીકના ગુસ્સામાં આજે એક ઇસમ મોતને ભેટ્યો છે અને બીજા પરિવારના સભ્યોને જેલભેગા થવાનો વારો આવ્યો છે.

Published : February 26, 2026 at 6:00 PM IST
દાહોદ: ફતેપુરામાં ગ્રાહકની બાઈક પાર્કિંગ મુદ્દે તકરાર થતા મામા ફોઈના પરિવારો વચ્ચે ધીંગાણું થયું હતું. મારામારીમાં એક યુવકનું મોત નીપજતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
દુકાન આગળ ગ્રાહકે ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પિતરાઈ ભાઈઓના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા એક ઇસમને ગેબી માર વાગી જતા મોત નીપજ્યું હતું. કહેવાય છે કે ક્ષણિક આવેશમાં ગુસ્સામાં ભરેલ પગલું મોટી આફત સર્જે છે મોટું નુકશાન થાય છે. તેનું ભાન માણસને ગુસ્સો શાંત થયા પછી આવે છે. ઘડીકના ગુસ્સામાં આજે એક ઇસમ મોતને ભેટ્યો છે અને બીજા પરિવારના સભ્યોને જેલભેગા થવાનો વારો આવ્યો છે. સાથે પરિવારમાં પણ અંદરો અંદર તણાવ વધી ગયો છે.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા ચોકડી પાસે મુકેશ અગ્રવાલની મોબાઈલની દુકાન આવેલી છે. તેમની નજીકમાં જ તેમના ફોઈના દીકરાની દુકાન આવેલી છે. ગતરોજ ગ્રાહકની ગાડી બહાર પાર્ક કરવા મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા બંને પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મુકેશ અગ્રવાલની છાતી તેમજ શરીરના અન્ય ભાગે ગેબી માર વાગતા તબિયત લથડી હતી. જેને પગલે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. તબીબોએ મૃત જાહેર કર્યા હતાં બનાવને પગલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિકેશ અગ્રવાલ તેમના પત્ની રંજનાબેન અને પુત્ર મયુર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:

