સુરેન્દ્રનગરની સબજેલમાં હત્યા કેસના આરોપીનું કસ્ટડીયલ ડેથ, પરિવારજનોનો ગંભીર આક્ષેપ
સુરેન્દ્રનગરની સબજેલમાં હત્યા કેસના આરોપીનું શંકાસ્પદ મોત થયું છે.

Published : September 1, 2026 at 8:26 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરેન્દ્રનગરની સબજેલમાં હત્યા કેસના આરોપીનું શંકાસ્પદ મોત થયું છે. જોકે, પરિવારજનો દ્વારા કેદીને મારી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા ડેપ્યુટી કલેક્ટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સુરેન્દ્રનગરની સબજેલમાં આરોપીનું મોત
ચોટીલામાં સુરેશ સાકરીયા નામનો ઇસમ હત્યાના કેસમાં સબ જેલમાં સજા કાપતો હતો પરંતુ તેને થોડી બીમારી હોવાને કારણે તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, રજા આપ્યા બાદ તેને ફરી સબ જેલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને તેનું મોત થયું હતું. કસ્ટડીમાં ડેથ થયું હોવાને કારણે પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પંચોની હાજરીમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે, પરિવારજનો દ્વારા કેદીને મારી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેલ સ્ટાફ દ્વારા આરોપીનું મોત ટૂંકી બીમારીને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સુરેશ સાકરીયા નામના કેદીનું મોત નીપજ્યું છે હાલ શંકાસ્પદ મોત છે અને તપાસ ચાલુ છે - મેહુલ ભરવાડ, ડેપ્યુટી કલેક્ટર, વઢવાણ
આ વિવાદ વચ્ચે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પેનલ પીએમ કરાવવામાં આવશે ત્યારબાદ જ આ કેદનું મોત કેવી રીતે થયું તે અંગેની સમગ્ર ઘટના બહાર આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે, સુરેન્દ્રનગરમાં સબ જેલમાં 125 કેદીઓ રાખવાની ક્ષમતા છે, તેની સામે ક્રાઇમરેટ ઊંચો ગયો હોવાના કારણે અને અન્ય સ્થળ ઉપર કેદીઓને કોઇ રાખવાની વ્યવસ્થા ન હોવાને કારણે સબ જેલમાં 275થી વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે.
આ પણ વાંચો:

