થરાદમાં કોંગ્રેસનો હલ્લાબોલ, વીજ ટાવર માટે ખેડૂતોને ચાર ગણું વળતર અને મહિને ભાડું ચૂકવવાની કરી માંગ
કોંગ્રેસે ખેડૂતોની જમીનમાં વીજ ટાવર લાઈનમ ખેડૂતોને ચાર ગણું ઊંચું વળતર ચૂકવવા અને યોગ્ય ભાડું ચૂકવવા માટેની માંગ કરી છે.

Published : July 1, 2026 at 8:20 AM IST
વાવ થરાદ: જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ગઈકાલે મંગળવારે કોંગ્રેસે વીજ ટાવરને લઈને પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે આંબેડકર ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરી રસ્તા પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
થરાદ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેવાતા કોંગ્રેસે ખેડૂતોના હકમાં વાજ ઉઠાવી ખેડૂતોના ખેતરમાં વીજ ટાવર લાઈન નાખવા મુદ્દે ખેડૂતોની કિંમતી જમીનનુ જંત્રીના ભાવથી ચાર ગણું ઊંચું વળતર ચૂકવવા માટેની માંગ કરી છે, સાથે જ તેમને દર મહિને ઊંચું ભાડું આપવા માટેની પણ કોંગ્રેસે રજૂઆત કરી છે.
કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી જો વીજ ટાવર લાઈન ખેડૂતોના ખેતરમાં નાખવી હોય તો ખેડૂતોને જંત્રીથી ચાર ગણું ઊંચું વળતર ચૂકવવું પડશે સાથે જે ખેડૂતોને ઊંચું ભાડું આપવા માટેની પણ માંગ રાખવામાં આવી છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યા છે કે કુદરતી આપત્તિઓ અને મોંઘવારીની માર વેઠતા ખેડૂતોની કિંમતી જમીનમાં વીજ ટાવર લાઈન નાખીને ખૂબ જ ઓછું વળતર આપી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વીજ ટાવર લાઈન નાખતા પહેલા રોડ મેપ નક્કી કરવામાં આવે અને ખેડૂતોની જમીનને ઓછું નુકસાન થાય તે પ્રકારે અંડર ગ્રાઉન્ડ કેબલ પ્રક્રિયા કરવામાં આવે. જો ખેડૂતોની વાત ધ્યાને નહીં લેવાય અને તેમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

મહત્વનું છે કે ગુજરાત ભરમાં ખેડૂતોની જમીનના ઊંચા વળતરની માંગ સાથે ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે હવે વાવ થરાદ જિલ્લામાં પણ ખેડૂતોના સમર્થનમાં આવી કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, અને ખેડૂતોની કિંમતી જમીન સામે અપાતુ વળતર ખુબ જ ઓછુ હોવા સાથે ખેડૂતોનું શોષણ થતું હોવાના આક્ષેપો કરાયા છે. જો કંપનીએ વીજ ટાવર માટે પોલ ઊભા કરવા હોય તો જમીનનુ ઊંચું વળતર આપવા માટે તેમજ ખેડૂતોને ન્યાય આપવા માટેની માંગ કરી છે.

આ અંગે થરાદ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હકમાં કોંગ્રેસની આગેવાનીમાં મળેલા આવેદનપત્રને આગળ મોકલી તેમના પ્રશ્નો અને મુદ્દાઓના નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવશે.

