ભુજમાં કોંગ્રેસનો જન સંવાદ કાર્યક્રમ, દારૂબંધી-મનરેગા મુદ્દે સરકાર સામે કર્યા આક્ષેપો
જનમેદનીની હાજરી વચ્ચે આયોજિત આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માન વામાં આવી રહ્યો છે.

Published : January 4, 2026 at 3:38 PM IST
|Updated : January 4, 2026 at 4:01 PM IST
કચ્છ : ભુજ શહેરની લોહાણા મહાજનવાડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, સમર્થકો અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જનમેદનીની હાજરી વચ્ચે આયોજિત આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ જન સંવાદ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સુહાસિની યાદવ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ સહિત રાજ્ય કક્ષાના આગેવાનો હાજર રહ્યા હતા, તેમ જ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિ.કે. હુંબલ, પૂર્વ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓએ મંચ પરથી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નેતાઓએ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આવનારા સમયમાં ગામડાથી લઈને શહેર સુધી કોંગ્રેસ પાર્ટીની પકડ મજબૂત બનાવવા માટે કાર્યકરોને સંગઠિત રીતે કામ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ જન સંવાદ કાર્યક્રમ માત્ર રાજકીય ભાષણ પૂરતો સીમિત ન રહે, પરંતુ જનતાની વાસ્તવિક સમસ્યાઓને સાંભળવાનો મંચ બને તેવો ઉદ્દેશ નેતાઓએ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ નેતાઓએ ગુજરાત રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે ભારતીય જનતા પાર્ટી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાયદા અને જાહેરાતોમાં જ દેખાય છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ભિન્ન છે. ગામડાં અને શહેરોમાં ગેરકાયદે દારૂ સહેલાઈથી ઉપલબ્ધ હોવાનું જણાવી, દારૂબંધીની નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
મનરેગા યોજના મુદ્દે પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકાર સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. નેતાઓએ કહ્યું હતું કે મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રનિર્માતાઓના નામોને બદલી નાખવાની પ્રક્રિયા માત્ર નામ બદલવાની નહીં, પરંતુ તેમની વિચારધારાને હાંસિયામાં ધકેલવાની કોશિશ છે. જે કોંગ્રેસ પાર્ટી ક્યારેય સહન કરશે નહીં.

કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વર્ષ 2022 બાદ મનરેગા યોજનાના લાભાર્થીઓને નિયમ મુજબ પૂરાં 50 દિવસની રોજગારી પણ આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા 125 દિવસની રોજગારી આપવાની જાહેરાત જનતાને ભ્રમિત કરવાની એક રાજકીય ચાલ હોવાનું નેતાઓએ જણાવ્યું હતું. ગરીબ અને શ્રમિક વર્ગના હિતોની અવગણના થઈ રહી હોવાનું પણ કોંગ્રેસે આ કાર્યક્રમ દરમિયાન ઉઠાવ્યું હતું.
જન સંવાદ કાર્યક્રમના અંતે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હંમેશા સામાન્ય જનતાના પ્રશ્નો માટે લડતી આવી છે અને આગળ પણ સરકારની જનવિરોધી નીતિઓ સામે લોકશાહી રીતે અવાજ ઉઠાવતી રહેશે, સાથે જ કાર્યકરોને આવનારા દિવસોમાં જનતા સાથે સીધો સંવાદ વધારવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય બનવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો...

