સુરત જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ; માંગરોળની કીમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા હજારો માછલાંઓના મોત
કીમ નદી ત્રણ તાલુકાઓ - માંગરોળ, ઓલપાડ અને હાસોટની જીવાદોરી સમાન છે, પરંતુ કેમિકલયુક્ત ગંદા પાણીને કારણે આ નદી હવે ઝેરી બની રહી છે.

Published : June 29, 2026 at 5:35 PM IST
સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીમાં ફરી એકવાર કેમિકલ માફિયાઓએ ઝેરી કેમિકલ છોડતા જળચર સૃષ્ટિ પર મોટું સંકટ તોળાયું છે. નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભળવાને કારણે મોટી સંખ્યામાં માછલાંઓના મોત નિપજ્યા છે, જેને લઈને સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કીમ નદી ત્રણ તાલુકાઓ - માંગરોળ, ઓલપાડ અને હાસોટની જીવાદોરી સમાન છે, પરંતુ કેમિકલયુક્ત ગંદા પાણીને કારણે આ નદી હવે ઝેરી બની રહી છે.
આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિક ખેડૂત જશવંતસિંહ સોલંકીએ તંત્રની પોલ ખોલતા આકરા પ્રહાર કર્યા હતા.
જશવંતસિંહ સોલંકી (ખેડૂત, મોટા બોરસરા) એ જણાવ્યું હતું કે "અમે પ્રકૃતિ સાથે જોડાયેલા ખેડૂતો છીએ, આ નદીનું આ હાલ જોઈને ખૂબ દુઃખ થાય છે. પરંતુ આ દુઃખ કોને વ્યક્ત કરીએ? સાંભળનારું કોઈ નથી.,"GPCBના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવા આવે છે અને જતાં રહે છે. આજ સુધી એક પણ રિપોર્ટ કે કાર્યવાહીનો જવાબ અમને મળ્યો નથી,"આ વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને માત્ર પગાર લે છે. જમીની સ્તરે તેમની કોઈ નક્કર કામગીરી નથી,"જો GPCB કોઈ કાર્યવાહી કરી શકતું ન હોય, તો આ વિભાગને બંધ કરી દેવો જોઈએ અથવા ઓફિસને તાળાં મારી દેવા જોઈએ.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અનેક વખત નદીમાં આવી ઘટનાઓ બની છે, પરંતુ દરેક વખતે તંત્ર માત્ર દેખાડો કરી ચૂપ થઈ જાય છે. પ્રકૃતિના રક્ષણની જવાબદારી જે વિભાગના શિરે છે, તે જ વિભાગની નિષ્ક્રિયતાને કારણે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે, શું આ મામલે તંત્ર ગંભીરતા દાખવીને જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી ફરી એકવાર માત્ર કાગળ પર તપાસ પૂરી થશે?

સુરત જિલ્લા GPCB અધિકારી અરુણ પટેલ એ જણાવ્યું હતું કે ઉપરોક્ત બાબતે રજુઆત અમારા ધ્યાને આવી છે. તાત્કાલિક ટીમને સ્થળ પર રવાના કરી છે. નદીના પાણીમાં સેમ્પલ લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:

