ધો.10-12ની પરીક્ષા: વિદ્યાર્થીઓ અને વાલીઓને સાયકિયાટ્રિસ્ટની સલાહ
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે જુનાગઢના સાયકિયાટ્રિસ્ટ ડૉ.તન્વી કાચાએ ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે.

Published : February 24, 2026 at 7:35 PM IST
જુનાગઢ: આગામી ગુરુવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહેલી છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની અને વર્ગખંડની બહાર વિદ્યાર્થીની સાથે તેના માતા-પિતા વાલીઓની પરીક્ષા પણ થતી હોય છે. આવા સમયે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ખાસ માનસિક સ્થિરતા સાથે પરીક્ષાનો સમય પસાર કરવો જોઈએ.
કોઈપણ પ્રકારની ખોટી સરખામણી જરૂર કરતાં વધારે ચિંતા, સમય પછીનું એકધારું વાંચન અને ઊંઘ આવા તમામ પાસાઓ પર ધ્યાન આપીને વિદ્યાર્થીની સાથે તેના વાલી પરીક્ષાના દિવસોનું આયોજન કરે તો ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પરીક્ષા આપીને ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકે છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સાયકિયાટ્રિસ્ટનું સૂચન
26 તારીખ અને ગુરુવાર થી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓની સાથે તેના વાલીઓની પણ કેટલાક તબક્કામાં પરીક્ષા થતી હોય છે. પરીક્ષાના દિવસો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના હોય છે. કોઈ પણ વિદ્યાર્થી માનસિક સ્થિરતા સાથે પરીક્ષા આપે તો વર્ષ દરમિયાન કરેલી તૈયારીઓનો ધાર્યું અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. પરીક્ષાના દિવસે વર્ગખંડમાં એકદમ શાંત ચિત્તે અને તમામ પ્રકારની ચિંતા કર્યા વગર પરીક્ષા આપવી જોઈએ. વધુમાં જે વિદ્યાર્થીઓ પાછલા બે વર્ષથી ધોરણ 10 અને 12 ની મહેનત કરી રહ્યા છે. ત્યારે પરીક્ષાના દિવસો દરમિયાન આવા વિદ્યાર્થીઓએ એકધારા વાંચનથી દૂર રહેવું જોઈએ, તો બીજી તરફ બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારની મહેનત નથી કરી તેવા વિદ્યાર્થીઓ પણ જો પરીક્ષાના આ દિવસો દરમિયાન દિવસ રાત મહેનત કરે તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી, જેથી જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મહેનત કરી છે, તેમને એકદમ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર વર્ગખંડમાં ઉપસ્થિત થઈને પરીક્ષા આપવી જોઈએ.

સાયકિયાટ્રિસ્ટ ડો તન્વી કાચાનુ વિદ્યાર્થીઓને સૂચન
સાયકિયાટ્રિસ્ટ ડૉ.તન્વી કાચા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના દિવસો દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. જેમાં પરીક્ષાના આ દિવસો દરમિયાન સમગ્ર સિલેબસને વાંચવું માનસિક તાણમાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં માત્ર કી-વર્ડ કે જેમાં વિદ્યાર્થીઓ માત્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતને થોડી જ મિનિટોમાં યાદ કરી શકે તે પ્રકારે પરીક્ષાના દિવસો દરમિયાન અધ્યયન કરવું જોઈએ, તો વધુમાં પરીક્ષાનો સમય અને ઊંઘ સૌથી મહત્વનું હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસો દરમિયાન રાત ઉજાગરા કરતા હોય છે, પરંતુ પરીક્ષાના દિવસોમાં પાંચ થી છ કલાક ની ગાઢ ઊંઘ કોઈ પણ પરીક્ષાથીઓ માટે મહત્વની માનવામાં આવે છે જો ઓછી ઊંઘ કરીને પરીક્ષાથી પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થશે તો તેના પરિણામમાં નકારાત્મકતા વધારે જોવા મળી શકે છે.

પરીક્ષાના દિવસોમાં ડાયેટનું પણ મહત્વ
પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓએ સારો અને શરીરને પોષણ આપે તે પ્રકારનો ખોરાક લેવો જોઈએ સારા ખોરાકની અસર મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વની માનવામાં આવે છે. પરીક્ષાના દિવસો દરમિયાન ખાસ કરીને સરખામણી કે જે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે અથવા તો વિદ્યાર્થીના વાલીઓ અન્ય વિદ્યાર્થી સાથે તેમના સંતાનોની કરતા હોય છે. જેમાંથી તેમણે દૂર રહેવું જોઈએ. વધુમાં જે પેપર પૂરું થયું હોય તે પેપર સોલ્યુશન પરીક્ષા સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ કરવું જોઈએ. જે દિવસે જે પેપર પૂરું થયું છે તેનું સોલ્યુશન તે જ દિવસે કરવામાં આવે તો કેટલાક ખોટા જવાબો વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરી શકે છે. જેને કારણે બીજા દિવસે આયોજિત થનારું પેપર પણ વિદ્યાર્થીઓ માટે અઘરું બની જતું હોય છે.

